ગુજરાત
News of Tuesday, 22nd September 2020

હિંમતનગર સિવિલમાં ઓક્‍સિજન ખલાસઃ તંત્રને કહ્યું જાણ કર્યા વગર કોઇ દર્દીને મોકલવા નહીં

હિંમતનગર: સાબરકાંઠા હિમતનગરમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે જગ્યા નથી. હિંમનગર સિવિલના નોડલ ઓફિસરે જિલ્લા આરોગ્ય અધિકારીને આ વિશે પત્ર લખ્યો છે. સિવિલમાં કોરોનાના દર્દીઓ વધતા ઓક્સિજનના બાટલા ખૂટવા લાગ્યા છે. ખાનગી હોસ્પિટલો અને અન્ય જિલ્લામાંથી જાણ કર્યા વિના દર્દીઓને અહી મોકલવામાં આવી રહ્યાં છે. આવામાં ઓક્સિજનની ક્ષમતાથી વધુ દર્દીઓ દાખલ કરાય તો દર્દીઓના જીવન પર જોખમ થાય તેવું તેઓએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ત્યારે જિલ્લા અધિકારીએ તાત્કાલિક પગલા લઈને ત્રણ હોસ્પિટલમાં કોરોના સારવાર શરૂ કરાઈ છે.

ઓક્સિજન કેપેસિટી ઓછી, છતા દર્દીઓની ભરમાર

જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલમાં 100 બેડની કોવિડ હોસ્પિટલ કાર્યરત છે. આ હોસ્પિટલમાં ઓક્સિજન સિસ્ટમની કેપેસિટીથી વધુ અંદાજે 50 થી 60 દર્દીઓ ઓક્સિજનની સારવાર લઈ રહ્યાં છે. તેમજ નોન કોવિડ વિભાગોમાં અંદાજે 40 થી 50 દર્દી સારવાર લઈ રહ્યાં છે. જો ઓક્સિજન કેપેસિટીથી વધુ દર્દીઓ અહી મોકલવામાં આવે તો અંદર ઓક્સિજનની સારવાર લેતા દર્દીઓના જીવન જોખમમાં મૂકાઈ શકે છે.

ઓક્સિજન ટેન્ક માટે મંજૂરી માંગી

હિંમતનગર સિવિલ હોસ્પિટલના સર્જન આશિષ કાતરકરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, હિંમતનગર સિવિલમાં ૨૪ કલાકમાં ૬૦૦ થી ૬૫૦ બોટલો ઓક્સિજનની જરૂર હોય છે. જેમાં દર બે મીનિટે એક બોટલ બદલવી પડે છે. આમ 20 મિનીટમાં એક સાથે 40 બોટલ લગાવવામાં આવે છે. પરંતુ આ માટેના રેગ્યુલેટરમાં ગમે ત્યારે ખામી સર્જાય તો મોટી દુર્ઘટના સર્જાય તેમ છે. જેથી હિંમતનગર સિવિલ વિભાગે ઓક્સિજનની ટેન્ક લગાવવા માટે મંજૂરી માગી હતી. પરંતુ કંપનીની 13 ટનની ટેન્ક લગાવવાની ના પાડવાની વાત સામે આવી છે. જેને લઈને હવે સિવિલ દ્વારા 6 ટનની ટેન્ક લગાવવા માટે મંજૂરી માંગી છે.

નોડલ અધિકારીનો ચેતવણીભર્યો પત્ર

આવામાં નોડલ ઓફિસરે પત્ર લખ્યો કે, જિલ્લાની જુદી જુદી પ્રાઈવેટ હોસ્પિટલો અને અન્ય જિલ્લાની હોસ્પિટલો દર્દીને ઓક્સિજનની જરૂરિયાત જણાતા અને દર્દી ગંભીર થતા કોઈપણ જાતની જાણ કર્યા વગર અહી મોકલી આપવામાં આવે છે. જે યોગ્ય નથી. અહી ઓક્સિજન સિસ્ટમની કેપેસિટીથી વધારે દર્દીઓની સારવાર ચાલતી હોવાથી વધુ દર્દીને સારવાર આપી શકાય તેમ નથી. આવામાં જો કોઈપણ દર્દીને સ્વાસ્થયને લગતી નુકસાની થાય તો તેની સંપૂર્ણ જવાબદારી પ્રાઈવેટ હોસ્પિટલ તથા અન્ય જિલ્લાઓની હોસ્પિટલની રહેશે. તેઓએ પત્રમાં લખ્યું કે, અહી ઓક્સિજન કેપેસિટી વધારવાની કામગીરી જીએમએસએલસી દ્વારા નિમાયેલ કંપની દ્વારા પૂર્ણ કરવામાં આવી નથી. તેથી દર્દીઓને અહી રિફર કરતા પહેલા હોસ્પિટલનો સંપર્ક કરવો અને ઓક્સિજનની પરિસ્થિતિ જાણ્યા બાદ જ તેઓને મોકલવા. નહિ તો સંપૂર્ણ જવાબદારી જે તે હોસ્પિટલની રહેશે.

તાત્કાલિક પગલા લેવાયા

જોકે, નોડલ ઓફિસરના પત્ર બાદ જિલ્લામાં અન્ય ત્રણ સ્થળે કોરોના સારવાર માટે સુવિધા ઉપલબ્ધ કરાવવા તજવીજ હાથ ધરાઈ છે. હિંમતનગરની આવિષ્કાર, ઇડરની લાઈફ લાઈન અને તલોદની આશીર્વાદ હોસ્પિટલમાં સારવારની તજવીજ હાથ ધરાઈ છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, હિંમતનગરની આવિષ્કાર હોસ્પિટલમાં ૧૧ આઈસીયુ અને ૩૫ બેડ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ. ઇડરની લાઈફ લાઈન હોસ્પિટલમાં 16 આઈસીયુ અને ૩૦ બેડ સુવિધા મૂકાઈ. તો તલોદની આશીર્વાદ હોસ્પિટલમાં 10 બેડની સુવિધા  ઇડરની CHC માં ૨૦ બેડ સેન્ટ્રલાઈઝડ ઓક્સિજન સુવિધા શરુ કરાશે.

(4:37 pm IST)