ગુજરાત
News of Tuesday, 22nd September 2020

આર્થિક ભારણ ઘટાડવા ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડના સભ્યો ૫૯માંથી ૨૪ કરાયા

અધિનિયમ ૧૯૭૨ની કલમ-૩માં સુધારા વિધેયક વિધાનસભામાં પસાર : ભુપેન્દ્રસિંહ

ગાંધીનગરઃ આર્થિક ભારણના ઘટાડા અને વહીવટી ઝડપ તથા વધુ સરળતા માટે માધ્યમિક ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડના સભ્યો પ૯ માંથી ઘટાડી ર૪ કરાયા છે. આ અંગેના અધિનિયમ ૧૯૭રની કલમ-૩માં સુધારા વિધેયક વિધાનસભામાં પસાર થયું છે. આ અંગેની વિસ્તૃત વિગતો જોઇએ તો શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ૧૯૭૨ની કલમ-૩માં સુધારો સૂચવતા જણાવ્યું હતું કે, આ સુધારાથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યોની સંખ્યા જે અગાઉ ૫૯ હતી તે ઘટીને ૨૪ થશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અધિનિયમ ૧૯૭૨ના કલમ-૩માં સુધારા વિધેયક વિધાનસભા ખાતે રજૂ કરતાં શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજયમાંથી યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ હાલની ૯ સભ્યોનું છે પરંતુ અધિનિયમને જોગવાઈઓને ધ્યાને લેતા દરેક યુનિવર્સિટીઓ એકેડેમિક કાઉન્સિલના સભ્યો માટે એક સભ્યને બોર્ડમાં પ્રતિનિધિ તરીકે મોકલે તો તે સભ્ય સંખ્યા ૮૦ થાય છે. રાજયમાં બોર્ડની રચના થઇ ત્યારે ગુજરાતમાં માત્ર સાત જ સરકારી યુનિવર્સિટી હતી. તેથી આ પ્રતિનિધિત્વ રાખવામાં આવ્યું હતું. આમ હાલની સ્થિતિએ તમામ યુનિવર્સિટીઓને ધ્યાને લેતા બોર્ડના કુલ સભ્યો ૧૩૦ ઉપરાંત થાય તેમ છે. ભવિષ્યમાં ખાનગી યુનિવર્સિટીઓની સંખ્યામાં વધારો થઈ શકે તેમ છે જેથી સભ્યોની સંખ્યામાં પણ વધારો થશે. બોર્ડમાં હાલ હોદ્દાની રૂએ સભ્યોની સંખ્યા ૧૬ છે આ સભ્ય સંખ્યા ઘટીને ૯ થશે. જયારે ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ૪૦ છે જે ઘટીને ૧૧ થશે તથા નામ નિયુકત સભ્યોની સંખ્યા ૩ છે જે વધારીને ૪ થશે. આમ ચૂંટાયેલા સભ્યો ઘટાડયા તેમ સરકારી સભ્યો પણ ઘટાડ્યા છે.

 હાલ બોર્ડના સભ્યો ૧૩ પ્રકારના વિવિધ સંવર્ગમાંથી ચૂંટાય છે જે હવે વિવિધ ૧૦ સંવર્ગમાંથી ચૂંટાશે. ઉત્ત્।ર બુનિયાદી શાળાના આચાર્ય અને ઉત્ત્।ર બુનિયાદી શાળાના શિક્ષકોનો સંવર્ગ એમ અગાઉ અલગ અલગ બે સંવર્ગ હતા પરંતુ હવે નવી જોગવાઈ મુજબ એકીકરણ થવાથી હવે માત્ર એક જ સંવર્ગ અસ્તિત્વમાં રહેશે. ખાનગી માધ્યમિક શાળાના બિન શૈક્ષણિક સ્ટાફ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બિન શૈક્ષણિક સ્ટાફના એમ અગાઉ અલગ અલગ બે સંવર્ગ હતા જે હવે નવી જોગવાઈ મુજબ એકીકરણ થતાં એક જ સંવર્ગ અસ્તિત્વમાં રહેશે. યુનિવર્સિટીઓના પ્રતિનિધિની પસંદગી નામ નિયુકિતથી કરવાને જોગવાઈ હોય યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓનો ચૂંટણી સંવર્ગમાં અસ્તિત્વ રહેશે નહીં. આમ બોર્ડના હાલના કુલ સભ્યોની સંખ્યા ૫૯ માંથી ઘટાડીને ૨૪ થશે. આ સુધારા વિધેયક વિધાનસભા ખાતે પસાર કરવામાં આવ્યું હતું.

(11:52 am IST)