ગુજરાત
News of Tuesday, 22nd September 2020

પાકિસ્તાનની નાપાક હરકત હરગીઝ ચલાવી લેવામાં આવશે નહિઃ પ્રદીપસિંહ

રાજયના મત્સય ઉદ્યોગના વિકાસના રક્ષણ માટે સરકાર પાછીપાની નહિ કરેઃ ત્રણ વર્ષમાં માછીમારોના પરિવારજનોને રૂ.૫૬૯.૪૨ લાખની સહાય

ગાંધીનગર : વિધાન સભામાં  તાકીદની જાહેર અગત્યની ચર્ચા કરતા પ્રદીપસિંહ જાડેજાએ રાજય સરકારે માછીમારીના વિકાસ માટે કરેલી કામગીરીની અહેવાલ રાજુ કર્યો હતો તાજેતરમાં પાકિસ્તાનની મરીન એજન્સીની ચાંચિયાગીરીએ નાપાક હરકત કરીને પોરબંદરની ૬ અને વેરાવળની ૨ બોટો તથા ૪૫ જેટલા માછીમારોને મશીનગનના નાળચે બંદીવાન બનાવીને અપહરણ કરતાં માછીમારોમાં અને તેઓના પરિવારજનોમાં ફેલાયેલ ભય અને રોષ દૂર કરવા સરકારે લીધેલા કે, લેવા ધારેલા પગલાં સંદર્ભે ગુજરાત વિધાનસભાના નિયમોના નિયમ-૧૧૬ હેઠળની તાકીદની જાહેર અગત્યની બાબત પર   મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરતી સૂચના અન્વયે ગૃહ રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનની નાપાક હરકત હરગીઝ ચલાવી લેવામાં આવશે નહીં. ૧૬૦૦ કિલોમીટરનો દરિયા કિનારો ધરાવતાગુજરાત રાજયની સરહદ નાપાક પાકિસ્તાનની સરહદ સાથે પણ જોડાયેલી હોવાથી ગુજરાતની સુરક્ષા એજન્સીએ વિશેષ સતર્કતા ધરાવે છે. ગુજરાત રાજયના આંતરદેશીય અને પ્રાદેશિક જળક્ષેત્રમાં મત્સ્યઉદ્યોગના રક્ષણ, સંરક્ષણ, વિકાસ અને નિયમન કરવા માટે અને તેની સાથે સંકળાયેલ અથવા તેને અનુષાંગિક બાબતો માટેની જોગવાઈ કરવા ગુજરાત સરકાર દ્વારા ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ ૨૦૦૩ માં સુધારા બાબતે વટહુકમ લાવવામાં આવ્યો છે, જેમાં કાલ્પનિક   આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા અને આંતરિક સુરક્ષા ની વિગતો ઉમેરવામાં આવી છે.

 રાજયમાં કુલ ૨૮,૮૧૧ ફીશીંગ બોટો રજીસ્ટર્ડ થયેલી છે. રાજયની ફીશીંગ બોટો આંતરરાષ્ટ્રિય દરીયાઇ સીમા ઓળંગે નહીં તે માટે ફીશીંગ બોટોને ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ (જી.પી.એસ.) સાધનની ખરીદી ઉપર યુનિટ કોસ્ટ રૂ. ૪૦,૦૦૦ ના પ૦ ટકા લેખે રૂ. ૨૦,૦૦૦  મહત્ત્।મ સહાય આપવામાં આવે છે. આ રજીસ્ટર્ડ થયેલી બોટો પૈકી ૫,૩૭૫ બોટોને રૂ. ૯,૭૬,૧૪,૮૫૫/- ની સહાય રાજય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે.

મંત્રીશ્રી જાડેજાએ વધુમાં ઉમેર્યું કે ભારત સરકારે ઇસરો મારફત ગુજરાત અને કર્ણાટક રાજયમાં પાઇલોટ પ્રોજેકટ તરીકે બોટ્સમાં ટ્રાન્સપોન્ડર્સ ફીટ કરવાનો પ્રોજેકટ શરૂ કર્યો છે. પ્રથમ તબક્કે ૫૦૦ બોટસ પૈકી ૪૪૦ બોટસમાં ટ્રાન્સપોન્ડર્સ ફીટ કરવામાં આવ્યા છે. જેના કારણે ઇસરો દ્વારા સેટેલાઇટ મારફતે બોટસનું અસરકારક મોનીટરીંગ શકય બનનાર છે. છેલ્લા ત્રણ વર્ષમાં પકડાયેલા માછીમારોનાં કુટુંબને ચૂકવવામાં આવેલી સહાય સંદર્ભે મંત્રીશ્રીએ જણાવ્યું કે વર્ષ ૨૦૧૭-૧૮માં કુલ રૂ. ૧૯૧.૩૬ લાખ, વર્ષ ૨૦૧૮-૧૯માં કુલ રૂ. ૧૮૨.૭૫ લાખ અને વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ રૂ. ૧૯૫.૩૧ લાખ મળી છેલ્લા ત્રણ વર્ષમાં કુલ રૂ. ૫૬૯.૪૨ લાખની સહાય રાજય સરકાર દ્વારા માછીમારોના કુટુંબને ચુકવવામાં આવી છે.

(11:53 am IST)