મહેસાણામાં નરાધમ પિતાએ પુત્રી તેમજ પત્નીને ઢોરમાર મારતા પોલીસ ફરિયાદ
મહેસાણા:અર્બુદાનગરની એક યુવતીના લગ્ન ચંદ્રવદન પટેલ સાથે થયાં હતાં. પરંતુ ચંદ્રવદન કંઈ ખાસ કામ ધંધો ન કરતો હોવાથી તેણીના પિતાએ તેઓને માલ ગોડાઉન રોડ પર આવેલ ગજાનંદ ફલેટમાં મકાન અપાવ્યું હતું. આમછતાં ચંદ્રવદન પોતાની હરકતોથી બાઝ ન આવતાં ત્રસ્ત તેણી પોતાની ૧૬ વર્ષીય દીકરીને લઈ પિયર ચાલી આવી હતી.
પોતાના મકાનમાં પતિ રંગરેલીયો મનાવતો હોવાની જાણ થતાં ગઈકાલે તેણી પોતાની દીકરી સાથે ગજાનંદમાં પહોંચી હતી. જયાં તેના પતિએ તેની સાથે તકરાર કરી હતી. એટલું જ નહીં આવેશમાં આવી હેવાન બની ગયેલ શખ્સે પોતાની દીકરીને તેમજ પોતાની પત્નીને પણ ઢોર માર માર્યો હતો.
પરીણામે ઈજાગ્રસ્ત પત્નીએ તાત્કાલિક ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર કોલ કરી મદદ માંગતા મહિલા હેલ્પલાઈનમાંથી કાઉન્સેલર પાયલ પટેલ, ASI યાસ્મિનબેન તથા પાયલોટ લાલાભાઈ તાત્કાલીક નિર્દેશિત સ્થળે પહોંચી ગયાં હતાં. તેઓએ ઈજાગ્રસ્ત મા-દીકરીને તાત્કાલિક સારવાર અર્થે મહેસાણા સિવિલમાં મોકલ્યાં હતાં.