ગુજરાત
News of Wednesday, 22nd August 2018

અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટની કાલુપુર ખાતે અંડરગ્રાઉન્ડ સાઇટની મુલાકાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી: ગીચ વિસ્તારોમાં લોકોને તકલીફ ન પડે તેમજ રક્ષિત અને અન્ય ઇમારતોને નુકશાન ન થાય તે રીતે કામ હાથ ધરાયું છે:વસ્ત્રાલથી એપરલ પાર્ક વચ્ચે પ્રાયોરિટી રીચ પર જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં ટ્રાયલ રન શરૂ કરાશે

ગ્રેટ- અમદાવાદ બાદ આગામી સમયમાં સુરતમાં પણ મેટ્રો પ્રોજેક્ટ હાથ ધરાશે : મુખ્ય મંત્રીશ્રીએ કાલુપુર સ્ટેશન ખાતે બુલેટ ટ્રેન, મેટ્રો રેલ્વ સાથેના સંકલન (ઇન્ટીગ્રેશન) અને કાલુપુર મેટ્રો સ્ટેશનની પણ સમીક્ષા કરી

ગાંધીનગર :  ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના અંડરગ્રાઉન્ડ સાઇટની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચેના પ્રાયોરિટી રીચ પર જાન્યુઆરી ૨૦૧૯માં ટ્રાયલ રન શરૂ કરાશે. આ દિશામાં  ઝડપભેર કામગીરી મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરાઈ રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

        તેમણે આ મુલાકાત બાદ પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આ કામગીરી  અમદાવાદ શહેરના ખુબ જુના વિસ્તારમાં થઇ રહી હોવાથી જુના મકાનો ઇમારતો તેમજ નાગરિકોની મિલ્કતને નુકસાન ન થાય અને નાગરિક જનજીવનને ઓછા માં ઓછી તકલીફ પડે કોઇ દુવિધા ન પડે તે રીતે કામગીરી હાથ ધરવા મેટ્રો પ્રોજેક્ટના સત્તાવાહકોને સૂચના આપી છે.

        મુખ્ય મંત્રીશ્રીએ પ્રથમ ફેઈઝ ૪૦ કિ.મીનો છે તેમાં ૩૩.૫ કિ.મી એલિવેટેડ એટલે કે ઓવર બ્રિજ અને ૬.૫૦ કિ.મી અન્ડરગ્રાઉન્ડ છે તેની ભૂમિકા આપી ઉમેર્યું હતું કે, આ રૂટ પર ૩૨ સ્ટેશનો આવશે. અમદાવાદ મહાનગરની ટ્રાફિક સમસ્યાના વિકલ્પ રૂપે માસ ટ્રાન્સપોર્ટેશન તરીકે આ મેટ્રોને તેમણે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.

        શ્રી વિજયભાઈએ ૨૦૧૯ ડિસેમ્બર સુધીમાં મેટ્રોના કામને ફુલ સ્પીડમાં આગળ ધપાવવાની મેટ્રો પ્રોજેક્ટની તૈયારીઓ વિષે પણ જાણકારી મેળવી હતી. ૧૦૭૦૦ કરોડના આ પ્રોજેક્ટ માં ૬ હજાર કરોડ ની જાયકાની લૉન છે તેમ પણ  તેમણે ઉમેર્યું હતું.

        ૧૦ જેટલા રક્ષિત સ્મારકો આ રૂટ માં આવે છે તેની પણ જાળવણી સાથે આ પ્રોજેક્ટ આગળ વધારવા કેન્દ્રની મંજૂરીઓ મળી ગઈ છે તેની વિગતો પણ મુખ્ય મંત્રીશ્રીએ પ્રચાર માધ્યમોને આપી હતી.

        તેમણે કહ્યું કે, ભવિષ્યમાં કાલુપુર રેલ્વે સ્ટેશન મલ્ટિપર્પઝ ઉપયોગમાં આવશે અને થ્રી લેયર ટ્રાન્સપોર્ટ અહીં ઉપલબ્ધ બનશે. જેમાં મેટ્રો ટ્રેન, રેલવેની જનરલ ટ્રેન અને બુલેટ ટ્રેન ત્રણેય  માટે આ સ્ટેશનનો ઉપયોગ નાગરિકો મુસાફરો કરી શકશે.

        મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૧૨ની બહાર આવેલ કાલપુર મેટ્રો સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી અને સર્વાંગી સમીક્ષા કરી હતી. તેમણે કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતેના મેટ્રોના હાઇ સ્પીડ (બુલેટ) ટ્રેન સાથેના સૂચિત સંકલન (ઈન્ટીગ્રેશન)ની પણ માહિતી મેળવી હતી. તેમણે આ વિસ્તારમાં ભવિષ્યના આંતરમાળખાકીય વિકાસને ધ્યાનમાં રાખી યોગ્ય વિકાસ કાર્યો હાથ ધરવા માટે વિવિધ સત્તાધિકારીઓને સૂચનો કર્યા હતા ભવિષ્યમાં આ વિસ્તાર જાહેર પરિવહન માટે મહત્વનું કેન્દ્ર બની રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું. 

        મુખ્ય મંત્રીશ્રીએ રેલ્વે સ્ટેશન બિલ્ડીંગની સામે (અગાઉની આર.સી.ટેકનીકલ સ્કુલનું પ્રાંગણ) ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)ના લોન્ચીંગ શાફ્ટનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે હાલમાં કાર્યરત ચાર ટનલ બોરિંગ મશીનની કામગીરી ચકાસી હતી અને તે અંગેની ટેકનીકલ બાબતો અંગે ચર્ચા કરી હતી અંડરગ્રાઉન્ડ કામગીરીની સાથે સાથે એલિવેટેડ કોરિરડોર સહિત સમગ્ર પ્રોજેક્ટમાં થઇ રહેલી પ્રગતિની  પણ સમીક્ષા પણ કરી હતી.

        મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વસ્ત્રાલ થી એપરલ પાર્ક વચ્ચેના પ્રાયોરિટી રીચ પર વાયાડક્ટની કામગરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને ટ્રેક તથા ટ્રેક્શન અંગેની કામગીરી હાલ પ્રગતિમાં છે. પ્રાયોરિટી રીચના છ સ્ટેશનોની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે અને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. એપરલ પાર્ક ડેપો ખાતે કામગીરી પૂર્ણ થવા પર છે અને ઓક્ટોબર ૨૦૧૮ સુધીમાં ઓપરેશન માટે તૈયાર કરી દેવામાં આવશે તેવું આયોજન છે.

        અત્રે ઉલ્લેખનીય છે કે, નોર્થ-સાઉથ કોરિડોર અંતર્ગત બન્ને છેડેથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને પાંચ કિમી. લંબાઇનો વાયાડક્ટ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્રણ સ્ટેશનોનું આર.સી.સી. વર્ક પણ પૂર્ણ થવાના આર છે,

        ઇસ્ટ-વેસ્ટ કોરિડોરના પશ્ચિમ ભાગમાં ૨ કિમી. જેટલા વાયાડક્ટની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને વધુ ૨ કિમી. વાયાડક્ટ અંતર્ગત લોન્ચીંગની પ્રક્રિયા ચાલુ છે. ગાંધી પુલની બાજુમાં મેટ્રો માટે અન્ય એક પુલ બનાવવાની કામગીરી ચાલુ છે જ્યાંથી એલિવેટેડ વાયાડક્ટ નદી પાર કરીને શાહપુર પાસેથી અંડરગ્રાઉન્ડ ટ્રેક પર જશે. ચાર ટી.બી.એમ. મશીને અત્યાર સુધીમાં ૦.૬૫ કિમી. લંબાઇની ટનલ તૈયાર કરી દીધી છે. અપ-ડાઉન એમ બે અલગ ટનલ રહેશે.

        રોલિંગ સ્ટોકના કોન્ટ્રાક્ટની જોગવાઇના ભાગરૂપે કોચનું મોક-અપ મોડેલ સપ્ટેમ્બર ૨૦૧૮ના અંત સુધીમાં અમદાવાદ ખાતે લાવવામાં આવશે અને તેને જાહેર જનતા જોઇ શકે તે રીતે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ નજીક કે અન્ય જાહેર સ્થળે મુકવામાં આવશે

        અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આઇ.પી.ગૌતમે સમગ્ર શહેરમાં પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરાયેલી અને હાથ ધરાનાર કામગીરીની જાણકારી  પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી.

        આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી બીજલબેન પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નહેરા, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન શ્રી અમૂલ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

(4:17 pm IST)