ગુજરાતના રાજયપાલ તરીકે આચાર્ય દેવવ્રતે શપથ ગ્રહણ કર્યા
૨૦માં રાજયપાલ તરીકે રાજભવનમાં હાઇકોર્ટના કાર્યકારી જસ્ટિસ અનંત દવેએ શપથ લેવડાવ્યા
ગાંધીનગર, તા.૨૨: ગુજરાતના ૨૦માં રાજયપાલ તરીકે રાજભવનમાં હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવેએ આચાર્ય દેવવ્રતને શપથ લેવડાવ્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડે.સીએમ નીતિન પટેલ તેમજ મંત્રીમંડળના મોટા માથાઓ હાજર રહ્યા હતાં.
આ પહેલા આચાર્ય દેવવ્રત ગઈકાલે સાંજે જ ગુજરાત આવી ગયા હતા. જયાં મુખ્યમંત્રી સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ તેમનું ઓ.પી. કોહલી તથા લેડી ગવર્નર શ્રીમતી અવિનાશ કોહલીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું.
હિમાચલથી આચાર્ય દેવવ્રતને ગુજરાતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હિમાચલના પ્રદેશના રાજયપાલ આચાર્ય દેવવ્રતને ગુજરાતના રાજયપાલ તરીકે નિયુકત કર્યાં હતા. તો ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્રાને હિમાચલ પ્રદેશના રાજયપાલ બનાવ્યા છે.
ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રાચાર્ય ડો.દેવવ્રત આચાર્ય ભાજપના સક્રિય સદસ્ય હતા. તેમનુ કોઈ રાજનીતિ કેરિયર ન હતું. આર્ય સમાજી હોવાને કારણે તેમના પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે સારા સંબંધ હતા. તેથી તેમને હિમાચલના રાજયપાલ બનાવવામાં આવ્યા હતા. તેમના યોગગુરુ રામદેવ બાબા સાથે પણ સારો પરિચય છે.(૨૩.૨૪)