ગુજરાત
News of Sunday, 22nd July 2018

શોપીંગ મોલ્સ-અન્ય સ્થળ પર મફત પાર્કિંગ વ્યવસ્થા અમલી

પાર્કિંગની સમસ્યા નિવારવા ટ્રાફિક વિભાગનો નિર્ણય : પાર્કિંગની મફત વ્યવસ્થા અમલી બનતા ખુશીની લાગણી હિમાલયા , આલ્ફા વન મોલ સહિત સ્થળોએ અમલવારી

અમદાવાદ, તા.૨૨ : અમદાવાદ શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હલ કરવાના હેતુથી આજે ટ્રાફિક વિભાગ દ્વારા મહત્વના નિર્દેશો જારી કરી શોપીંગ મોલ્સ સહિતના સ્થળોએ પાર્કિંગ ફ્રીની વ્યવસ્થા અમલી બનાવવામાં આવતાં લોકોમાં ભારે ખુશી અને રાહતની લાગણી ફેલાઇ ગઇ હતી. શહેરના ડ્રાઇવઇન રોડ પર હિમાલયા મોલ, આલ્ફા વન મોલ સહિતના વિવિધ સ્થળોએ જ આ નિર્ણયની આજથી અમલવારી શરૂ કરી દેવાઇ હતી. એટલું જ નહી, હિમાલયા મોલ સહિતના સ્થળોએ તો ફ્રી પાર્કિંગ વ્યવસ્થા દેખાય એ રીતે એકથી વધુ બોર્ડ પણ લગાવાયેલા નજરે પડતા હતા. જેના કારણે લોકો ફ્રી પાર્કિંગમાં વાહનો પાર્ક કરવા પ્રેરાયા હતા અને પરિણામે રોડ પરના આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકમાં ઘટાડો નોંધાયો હતો. ટ્રાફિક વિભાગ દ્વારા એવા પણ સ્પષ્ટ નિર્દેશ જારી કરાયા છે કે, જો કોઇ શોપીંગ મોલ્સ કે સંબંધિત સ્થળોએ પાર્કિંગનો ચાર્જ વસૂલવામાં આવતો હોવાની ફરિયાદ મળશે તો તેવા શોપીંગ મોલ્સ અને સ્થળોના જવાબદાર માલિક વિરૂધ્ધ કાયદાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં ટ્રાફિકની વકરતી સ્થિતિ અને આડેધડ પાર્કિંગના મુદ્દે તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટે લગાવેલી જોરદાર ફટકાર બાદ એસજી હાઇવે પરની રાજપથ કલબને સીલ કરાઇ હતી અને તેની આગળના રોડ પરના આડેધડ પાર્કિંગ સામે જોરદાર રીતે તવાઇ બોલાવવામાં આવી હતી. જેને પગલે શહેરભરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. હાઇકોર્ટની ફટકાર બાદ ટ્રાફિક વિભાગ અને અમ્યુકો તંત્રએ શહેરના એસજી હાઇવે ઉપરાંત શહેરના મહત્વના પોઇન્ટ અને સ્થળો પર ત્રાટકી ગેરકાયદે અને આડેધડ પાર્કિંગ સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેને લઇ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જો કે, આજે ટ્રાફિક વિભાગ દ્વારા મહત્વના નિર્દેશો જારી કરી શહેરના શોપીંગ મોલ્સ સહિતના વિવિધ સ્થળોએ ફ્રી પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ બનાવવા જણાવાયું હતું. એટલું જ નહી, જો કોઇપણ શોપીંગ મોલ્સ કે સ્થળોએ પાર્કિંગનો ચાર્જ વસૂલાય તો, તેવા કિસ્સામાં જવાબદાર માલિકો સામે કાર્યવાહી કરવાની કડક તાકીદ પણ સૂચનામાં કરાઇ છે. ટ્રાફિક વિભાગના નિર્દેશોને પગલે શહેરના ડ્રાઇવઇન રોડ પર આવેલા હિમાલયા મોલ, વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા આલ્ફા વન મોલ સહિતના કેટલાક સ્થળોએ તો ફ્રી પાર્કિંગની વ્યવસ્થાની અમલવારી પણ શરૂ કરી દેવાઇ હતી. જેના કારણે લોકો આ સ્થળોના ફ્રી પાર્કિંગમાં પોતાના વાહનો પાર્ક કરવા પ્રેરાયા હતા. પરિણામે, આ વિસ્તારોના રૂટીન ટ્રાફિક અને આડેધડ થતાં પાર્ક થતાં વાહનોમાં ઘટાડો નોંધાયો હતો. ફ્રી પાર્કિંગ વ્યવસ્થાના નવા નિર્ણયને આવકારતાં લોકોએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા આ એક સારો નિર્ણય લેવાયો છે. પહેલા લોકો પાર્કિંગ ચાર્જના નામે લૂંટાતા હતા કારણે શોપીંગ મોલ્સ, મલ્ટિપ્લેક્સ સહિતના સ્થળોએ મન ફાવે એ રીતે બેફામ ચાર્જ વસૂલાતો હતો પરંતુ હવે પાર્કિંગ ફ્રીમાં થઇ શકવાથી લોકો આવા સ્થળોએ નિસંકોચ પોતાના વાહનો પાર્ક કરી શકશે.આ નિર્ણયથી ગેરકાયદે અથવા તો આડેધડ પાર્કિંગની સમસ્યા હલ કરવામાં ચોક્કસથી મદદ મળશે.

(8:00 pm IST)