કુડા હત્યાકાંડ : દોષિતોને ન છોડવા માટેની ખાતરી
ભાજપના સાંસદ પરબત પટેલે ખાતરી આપી : એક જ પરિવારના ચાર સભ્યોની હત્યાના વિરોધમાં ગામે બંધ પાળ્યો : સાંસદની ખાતરી બાદ જ મૃતદેહનો સ્વીકાર
અમદાવાદ,તા. ૨૨ : બનાસકાંઠાના લાખણીના કુડા ગામે એક જ પરિવારના ચાર સભ્યોની કરપીણ હત્યાના ચકચારભર્યા પ્રકરણમાં આજે ગ્રામજનોએ સજ્જડ બંધ પાળ્યો હતો અને પોતાનો ઉગ્ર વિરોધ અને આક્રોશ વ્યકત કર્યો હતો. દરમ્યાન ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિત વચ્ચે ભાજપના સાંસદ પરબત પટેલે આજે સમાજના આગેવાનો અને ગ્રામજનો સાથે બેઠક કરી તેઓને આ પ્રકરણમાં આરોપીઓને બક્ષવામાં નહી આવે અને તેઓની વિરૂધ્ધ નિશંકપણે કાયદાનુસાર કાર્યવાહી થશે તેવી સ્પષ્ટ ખાતરી આપતાં ગ્રામજનોએ ચારેય મૃતદેહોનો સ્વીકાર કર્યો હતો અને હવે તેમની અંતિમવિધિ સિધ્ધપુર ખાતે કરવાની તજવીજ હાથ ધરાઇ હતી. બનાસકાંઠાના લાખણીના કુડા ગામે એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા બાદમાં ઘરના મોભી એવા પિતાએ ઝેર પી લીધુ હોવાનું સામે આવ્યુ હતું. જો કે, ઘરના સભ્યોની હત્યા વ્યાજે લીધેલા પૈસાને લઇ કરાઇ હોવાનું મનાઇ રહ્યું છે. સાથે સાથે પિતાએ જ પરિવારના ચાર સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની આંશકાએ હવે પોલીસે પણ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પિતાની હાલત ગંભીર હોઇ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. કુડાના આ હત્યાકાંડમાં રહસ્યના અનેક તાણાવાણા સર્જાયા હતા. કારણ કે, એકબાજુ પિતા અભણ હોવાની વાત સામે આવી રહી છે તો પછી ઘરની દિવાલ પર રૂ.૨૧ લાખના દેવાનું લખાણ લખ્યું કોણે તેને લઇને પણ હવે ગંભીર સવાલો ઉઠયા છે. હત્યારાઓ પકડાય નહી ત્યાં સુધી ગ્રામજનોએ મૃતદેહો સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. દરમ્યાન આજે રોષે ભરાયેલા ગ્રામજનોએ આ હત્યાકાંડ મામલે સમગ્ર ગામ અને પંથકમાં બંધ પાળ્યો હતો. જેને લઇ સ્થિતિ ભારેલા અગ્નિ જેવી બની હતી. બીજીબાજુ, ભાજપના સાંસદ
પરબત પટેલે આજે પરિસ્થિતિની ગંભીરતા સમજી સમાજના અને ગામના આગેવાનો સાથે બેઠક યોજી તેમને આ હત્યાકાંડમાં સંડોવાયેલા આરોપીઓને બક્ષવામાં નહી આવે અને પોલીસ દ્વારા તટસ્થ તપાસ અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. પરબત પટેલની હૈયાધારણ બાદ ગ્રામજનોએ પરિવારજનોના મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. હવે તમામ મૃતકોની અંતિમવિધિ સિધ્ધપુર ખાતે કરવાની તજવીજ હાથ ધરાઇ હતી. બીજીબાજુ, પોલીસે આ હત્યાકાંડમાં સંડોવાયેલા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને તપાસ તેજ બનાવી હતી. કુડા ગામ ખાતે ગઇકાલે એક જ પરિવારના ચાર સભ્યોની માથાના ભાગે કુહાડીના ઘા મારી હત્યા નીપજાવવામાં આવી હતી. કુડા ગામના આ પરિવાર પર રૂ.૨૧ લાખનું દેવું હતું અને પિતાએ ઘરના ચાર સભ્યોની હત્યા કર્યા બાદ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.