સોજીત્રા તાલુકાના પીપળાવ નજીક ભેદી સંજોગોમાં કુવામાંથી યુવાનની લાશ મળી આવતા અરેરાટી
આણંદ:સોજિત્રા તાલુકાના પીપળાવ ખાતે વહેલી સવારે કૂવામાંથી યુવાનની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા આણંદ ફાયર બ્રિગેડ સહિત સોજિત્રા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી જઈ યુવાનની લાશને કૂવામાંથી બહાર કાઢી તેને પીએમ માટે મોકલી આપી હતી.
પીપળાવ ખાતે સવારે સાડા પાંચથી છ વાગ્યાના સમયગાળા દરમ્યાન પીપળાવ ડેરીવાળા રસ્તા ઉપર સોજિત્રા માર્ગ પાસે ખરી સામે વર્ષો જૂના દેસાઈ કૂવામાં યુવાનની લાશ તરતી જોવા મળતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ કૂવા પાસે લોકોના ટોળેટોળા દોડી આવ્યા હતા. આ અંગે સ્થાનિક નાગરિકો દ્વારા ગામના સરપંચને ફોન કરતા ગામના સરપંચ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તથા સરપંચે તાત્કાલિક સોજિત્રા પોલીસ મથકે ફોન કર્યો હતો.