સુરતના કતારગામમાં હીરા દલાલે વધુ એક વેપારીને 62 લાખનો ચૂનો લગાવતા પોલીસ ફરિયાદના આધારે તપાસ શરૂ
સુરત:કતારગામ નંદુ ડોશીની વાડીના કારખાનેદાર યુવાન પાસે એક વર્ષ પહેલા રૂા.૬૨.૮૮ લાખના હીરા લીધા બાદ પેમેન્ટ કે હીરા પરત નહી કરનાર મોટા વરાછાના દલાલ સામે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. દલાલે અન્ય વેપારીઓ સાથે પણ આ રીતે ઠગાઇ બદલ મહિધરપુરા અને વરાછા પોલીસ મથકે ગુના દાખલ થયેલા છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મુળ બોટાદના વતની અને સુરતમાં કતારગામ સીંગણપોર કોઝવે રોડ શ્રદ્ધાદિપ સોસાયટીમાં રહેતા ૪૪ વર્ષીય કરશનભાઈ ડાયાભાઇ શેટા ત્રણ વર્ષથી કતારગામ નંદુડોશીની વાડીમાં ગણેશ જેમ્સના નામે હીરાનું કારખાનું ધરાવે છે. તેઓ અવારનવાર હીરા વેચવા આપતા તે હીરા દલાલ તુષારભાઈ અમરશીભાઈ સવાણી (રહે. એફ/૦૧, ફ્લેટ નં.૧૦૪, સાઈ મિલન રેસીડેન્સી, સુદામા ચોક, મોટા વરાછા, સુરત) ને તા.૧૭ જુલાઇથી ૨૩ જુલાઇ ૨૦૧૮ દરમિયાન કુલ રૂ.૬૨,૮૮,૩૩૩ ની કિંમતના જુદા જુદા કેરેટના પોલિશ્ડ હીરા વેચવા આપ્યા હતા.