વડોદરામાં ફાઇલેરિયા વિભાગના 400 કર્મચારીઓને છુટા કરી દેવાતા હોબાળો મચ્યો
વડોદરા:શહેરના માથે હવે આગામી દિવસમાં ચોમાસુ બેસી રહ્યુ છે ત્યારે આરોગ્ય વિભાગના ફાયલેરિયા શાખાના ૪૦૦થી વધુ કર્મચારીઓને છુટા કરી દેવાથી આગામી દિવસમાં મુશ્કેલી થશે જે અંગે આજે કોંગ્રેસના નેતાની આગેવાનીમાં કર્મચારીઓનો મોરચો કમિશનર કચેરી ખાતે પહોંચી જઇ હોબાળો મચાવ્યો હતો. કમિશનર નહિ હોવાથી ફલોર પર બેસી સતત અડધો કલાક સુધી સુત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા. એટલું જ નહિ આવેદનપત્ર કમિશનર ઓફિસની દિવાલ પર ચોટાડી વિરોધ દર્શાવ્યો હતો.
આવેદનપત્રમાં વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું છે કે, ફાયલેરિયા શાખામાં માટે ૫૭૫ કર્મચારીઓ કોન્ટ્રાકટથી લેવાનું ઠરાવ્યુ હતું. જેને ધ્યાનમાં રાખી ભરતી કરવામાં આવી હતી. જેના આધારે ચાર ઝોનમાં ચાર સંસ્થાને કામ આપ્યુ હતું. દરમ્યાન તત્કાલીન કમિશનરે કોન્ટ્રાકટ રદ કર્યો હતો. ભરતીની પ્રક્રિયા પુર્ણ કરી ફરી ૧૧ માસના કોન્ટ્રાકટથી ભરતી કરવામાં આવી હતી. જેની સમયમર્યાદા પુરી થતા તા.૩૧-૧-૧૮ના રોજ દરખાસ્ત કરવામાં આવી અને ફરી કોન્ટ્રાકટ આપવાનું નક્કી થયું હતું.