વિદ્યાનગરમાં સરદાર ઓવરબ્રિજ નજીક કંપનીની જમીન જોવા ગયેલ એમડીને લાકડીના ફટકા માર્યા
વિદ્યાનગર:ની જનતા ચોકડીએ સરદાર ઓવરબ્રીજ પાસે આવેલી કંપનીની જમીન જોવા માટે ગયેલા બરોડા ઈલેક્ટ્રીક લી.ના એમડીને લાકડાના ઝુડીયાથી માર મારતાં આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર આણંદ ખાતે રહેતા ફરિયાદી વિઠ્ઠલભાઈ નરસિંહભાઈ કામત બરોડા ઈલેક્ટ્રીક લી.માં એમડી તરીકે કામ કરે છે. આજે સવારના સાડા અગિયાર વાગ્યાના સુમારે સરદાર બ્રીજ પાસે આવેલી કંપનીની સર્વે નંબર ૩૮૪વાળી જમીન જોવા જતાં ત્યાં હાજર પશાભાઈને પડેલી ગાડીઓ કોની છે તે અંગે પુછતાં તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગમે તેવી ગાળો બોલીને લાકડાનુ ઝુડીયુ લઈ આવીને મારી દીધું હતુ. જ્યારે એક મહિલા પણ પથ્થર લઈને મારવા દોડી હતી. જેથી વિઠ્ઠલભાઈ ત્યાંથી જતા રહ્યા હતા. બન્ને શખ્સોએ ત્યારબાદ જો ફરીથી આવીશ તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી.