વડતાલ સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ મુદ્દે ચાલતા વિવાદમાં વધુ એક મુદ્દત પડીઃ ૧૬મી જુલાઇએ વધુ સુનાવણી
વડતાલઃ વડતાલ સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના મુદ્દે ચાલી રહેલા વિવાદ અંગે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ કેસમાં વધુ સુનાવણી ૧૬મી જુલાઇએ હાથ ધરવામાં આવશે.
વડતાલ સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિને લઇને ચાલી રહેલા વિવાદમાં આજે નડીયાદ સેશન્સ કોર્ટમાં વધુ એક મુદત પડી હતી. હવે આ કેસમાં વધુ સુનાવણી 16મી જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે. આ પહેલાની સુનાવણી વખતે ન્યાયાધીશ રજા પર હોવાથી આ કેસની સુનાવણી 22મી જૂન પર મુલતવી રાખવામાં આવી હતી. ચુકાદાને પગલે વડતાલધામમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. આ પહેલા સુનાવણી વખતે ગઢડાના એસ.પી.સ્વામી અને સ્વામી અજેન્દ્રપ્રસાદના પુત્ર નૃગેન્દ્રપ્રસાદ કોર્ટમાં હાજર રહ્યા હતા.
2003ના વર્ષમાં વડતાલ મંદિરના ગાદીપતિ એવા આચાર્ય અજેન્દ્રપ્રસાદ નરેનદ્રપ્રસાદ પાંડેને પરંપરાની વિરુદ્ધ વર્તન કરવા બદલ પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ નિયમ પ્રમાણે પાર્ષદોને દીક્ષા નથી આપી રહ્યા તેમજ ચરણભેટ પણ જમા નથી કરાવી રહ્યા.
બાદમાં દક્ષિણ ઝોન સત્સંગ મહાસભાએ એક ઠરાવ કરીને તેમને પદ પરથી હટાવી દીધા હતા. અજેન્દ્રપ્રસાદ આ મામલે કોર્ટમાં ગયા હતા. 1984માં એજેન્દ્રપ્રસાદની ગાદીપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.