ગુજરાત
News of Tuesday, 22nd May 2018

હવે ૧૨ તળાવને ગટરના ટ્રીટ કરેલ પાણીથી ભરવાની તૈયારી

સમયસર પ્રોજેકટ પૂર્ણ કરવાને લઇને પ્રશ્નઃ ખારીકટ કેનાલની સફાઇ ર૦મી મે સુધીમાં પૂર્ણ કરવાની હતી તેમ છતાં આ કામગીરી હજુ ચાલુ હોવાથી અટકળો

અમદાવાદ,તા. ૨૨ : ખારીકટ કેનાલના સફાઇ અભિયાન અને તેને સ્વચ્છ કરવાની હાથ ધરાઇ રહેલી કામગીરી બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરના ૧૨ તળાવોને ઉંડા કર્યા બાદ તેને ગટરના ટ્રીટ કરાયેલી પાણીથી ભરવાની દિશામાં મહત્વની કવાયત હાથ ધરાઇ છે. આ માટે જે તળાવની જરૂરિયાત કે ક્ષમતા પ્રમાણે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની દિશામાં પણ વિચારણા હાથ ધરાઇ છે. રાજ્ય સરકારના સુજલામ્ સુફલામ્ જળ અભિયાન ર૦૧૮ હેઠળ તા.૧ લી મે ગુજરાતના સ્થાપના દિનથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખારીકટ કેનાલ ઉપરાંત શહેરનાં ૬૪ તળાવની સફાઇ અને ૧ર તળાવને ઊંડાં કરવાની કામગીરી હાથ ધરાઇ છે. જોકે ખારીકટ કેનાલની સફાઇ તા.ર૦ મે સુધીમાં પૂર્ણ કરવાની હતી તેમ છતાં આ કામગીરી હજુ ચાલુ જ છે. જો કે, હવે અમ્યુકો તંત્ર દ્વારા દ્વારા શહેરનાં ૧ર તળાવને ઊંડાં કરાયા બાદ તેને ગટરનાં ટ્રિટ કરેલા પાણીથી ભરવાની દિશામાં કવાયત હાથ ધરાઇ છે.      ખારીકટ કેનાલમાં બેધડકપણે ઠલવાતાં કેમિકલયુકત પાણીને રોકવા સત્તાધીશો નિષ્ફળ નીવડયા છે. સત્તાવાળાઓએ કેનાલમાં ર૧ ગેરકાયદે કનેકશનથી કેમીકલયુકત તેમજ ગટરનું પાણી ઠલવાતું હોવાની કબૂલાત કરી છે, પરંતુ જે રહેઠાણ કે ઇન્ડસ્ટ્રીઝના આવાં ગેરકાયદે કનેકશન છે તેની સામે કડક કાર્યવાહી કરવાને બદલે તંત્ર દ્વારા અર્ધા એમએલડીની ક્ષમતા ધરાવતો સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ નાખવાનો નિર્ણય કરાયો છે. નિકોલ અથવા ઓઢવમાં આ પ્લાન્ટ નખાશે અને તેની પાછળ રૂ.૭૦ લાખ ખર્ચાશે. આ પ્લાન્ટ ત્રણ મહિનામાં કાર્યરત થશે. આની સાથે સાથે નવા પશ્ચિમ ઝોનના વસ્ત્રાપુર તળાવને પણ ગટરનાં ટ્રિટ કરેલાં પાણીથી ભરી દેવાશે. સત્તાવાળાઓએ વસ્ત્રાપુર તળાવ પરિસરમાં અડધા એમએલડીની ક્ષમતાનો સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ ઊભો કરવાની દિશામાં કવાયત હાથ ધરી છે. હેલ્મેટ સર્કલથી વસ્ત્રાપુર તળાવ સુધીની સ્ટોર્મ વોટર લાઇનમાં ઠેર ઠેર ગેરકાયદે ડ્રેનેજનાં કનેકશન હોઇ સત્તાધીશોએ તેમાં તળાવ તરફ ખૂલતી લાઇન પર પડદી મારીને બંધ કરી દેવાઇ છે. હવે આ પડદી તોડી નાખીને ગટરનાં પાણીને ટ્રિટ કરીને તેનાં પાણીથી વસ્ત્રાપુર તળાવને બારે માસ ભરી દેવાશે. શહેરના ૧ર તળાવ ગટરનાં ટ્રિટ કરેલાં પાણીથી ભરાશે. આ માટેનાં ટેન્ડર બહાર પાડવાની હિલચાલ આરંભાઇ હોઇ જ્યાં જેટલી જરૂરિયાત હશે તેટલી ક્ષમતાના સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ સ્થપાશે. જો કે, અમ્યુકોનો આ પ્રોજેકટ પણ કેટલા અંશે કારગત અથવા તો પરિપૂર્ણ થાય છે તે આગામી દિવસોમાં ખબર પડશે.

(10:04 pm IST)