ગુજરાત
News of Thursday, 22nd April 2021

૫૦ વર્ષથી દર્દીઓની સેવા કરનારા કોરોના સંક્રમિત ડોકટરને ન મળ્યું વેન્ટિલેટરઃ થયું નિધન

પરિવારે હોસ્પિટલો અને સરકારી અધિકારીઓ પાસે મદદની વિનંતી કરી પરંતુ કંઈ ન મળ્યું: અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કર્યાના બે કલાકની અંદર ડો. નરેશ શાહનું નિધન

અમદાવાદ, તા.૨૨: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ડો.નરેશ શાહના દર્દીઓને એડ્રેસની જરૂર પડતી નહોતી. 'ડો. નરેશની ગલી' માત્ર તે વિસ્તારના તેમના દર્દીઓ માટે જ નહીં પરંતુ પાડોશી રાજય રાજસ્થાનમાંથી આવતા દર્દીઓ માટે પણ જાણીતી હતી.

૧૯૬૮માં જયારથી તેમણે પ્રેકિટસ શરૂ કરી ત્યારથી ડો. શાહ સમય અને સંજોગો જોયા વગર દર્દીઓની સારવાર કરતા હતા. હકીકતમાં, દસ દિવસ પહેલા તેઓ નિયમિત ૧૦૦થી ૧૫૦ દર્દીઓની સારવાર કરતાં હતા. તેથી જ જયારે ૧૮મી એપ્રિલે કોરોના વાયરસના કારણે જયારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેમના પરિવારજનો સિવાય આસપાસ રહેતા લોકોને પણ જબરદસ્ત આંચકો લાગ્યો હતો. તેમની ઉંમર ૭૯ વર્ષની હતી.

ડો. શાહના દીકરાનું દુઃખ એ હકીકતથી વધારે તીવ્ર બન્યું હતું કે, સતત શોધ કરવા છતાં તેમના પિતાની સારવાર માટે તેઓ BiPAP મશીન અથવા વેન્ટિલેટર શોધી શકયા નહીં. ડો. શાહના પરિવારે હોસ્પિટલો અને સરકારી અધિકારીઓ પાસે પણ મદદની વિનંતી કરી હતી. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.

'જો કોઈ ડોકટરને BiPAP મશીન અથવા વેન્ટિલેટર ન મળે તો, કલ્પના કરો કે સામાન્ય માણસની શું સ્થિતિ હશે?, તેમ ડો. શાહના દીકરા ડો. દર્શને લખ્યું હતું. તેમણે આ વાત પિતાના નિધનની જાણકારી આપતી પોસ્ટમાં લખી હતી.

ડો. દર્શને અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પિતાની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. પરંતુ ટૂંક સમયમાં તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી.

'જયારે અમે તેમને દાખલ કર્યા ત્યારે, તેમની ઓકિસજનની જરૂરિયાત પ્રતિ કલાકે ૨ લિટર હતી જે બાદ વધીને પ્રતિ કલાકે ૫૦ લિટર થઈ ગઈ હતી. તેમના બ્રીધિંગ સપોર્ટ માટે અમારે BiPAP મશીન અથવા વેન્ટિલેટરની જરૂર હતી', તેમ ડો. દર્શને જણાવ્યું.

પરિવારે કહ્યું કે, પાલનપુરની સિવિલ હોસ્પિટલ ઓવરલોડેડ હતી અને ત્યાં પણ ઓકિસજન તેમજ વેન્ટિલેટર સપોર્ટની અછત હતી. ' જયારે અમને સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર બેડ ન મળ્યો તો અમે સ્થાનિક મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો જયાં ઘણા બધા આઈસીયુ બેડ વેન્ટિલેટરની સાથે હતા', તેમ ડો. દર્શને કહ્યું. 'પરંતુ અમારી આઘાત અને ભયની સ્થિતિ વચ્ચે હોસ્પિટલના અધિકારીઓએ તેમ કહીને એડમિટ કરવાનો ઈનકાર કરી દીધો કે, તેમની હોસ્પિટલ નોન-કોવિડ છે. વળી, તેમણે સીનિયર ડોકટરને વેન્ટિલેટર આપવાનો પણ ઈનકાર કર્યો હતો'.

ડો. શાહને બાદમાં આખરે અમદાવાદની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જયાં દાખલ થયાના બે કલાકમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. 'અમે અમારાથી થતાં તમામ પ્રયાસો કર્યા પરંતુ અમે તમારા ડો. નરેશ કાકાને બચાવી શકયા નહીં. હું કોઈનામાં ખામી શોધતો નથી...આ સીઝન છે...પરંતુ હું તે તથ્ય તરફ ધ્યાન દોરું છું કે, કોઈ પણ હોસ્પિટલ ડો. નરેશ શાહને વેન્ટિલેટર આપી શકી નહીં, જેમણે દર્દીઓની સારવારમાં ૫૦ વર્ષ પસાર કર્યા હતા. કોવિડ-૧૯ સામેની લડાઈ લાંબી છે. કૃપા કરીને તેવી ખાતરી કરજો કે જેવું મારા પિતા સાથે થયું તેવું અન્ય કોઈ દર્દી સાથે ન થાય', તેવું ડો. શાહના દીકરાએ પોસ્ટમાં લખ્યું હતું.

ડો. દર્શને કહ્યું કે, 'મને લાગે છે કે સરકારે એપિડેમિક ડિસીસ એકટ દ્વારા આપવામાં આવેલા પાવરનો ઉપયોગ કરવાનો અને BiPAP મશીન તેમજ વેન્ટિલેટર જેવા જીવન રક્ષક ઉપકરણો જે નોન-કોવિડ હોસ્પિટલમાં ફાજલ છે, તેનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે'. તેમણે કહ્યું કે, કોવિડ-૧૯ના દર્દીઓને બચાવવા માટે આવા મશીનોનો ઉપયોગ કરવો જ જોઈએ.

પાલનપુરના ડર્મોટોલોજિસ્ટ ડો. જિતેન્દ્ર મોદીએ કહ્યું કે, ડો. શાહનું નિધન અને તેમને બચાવવા માટે પરિવારે જે સંદ્યર્ષ કર્યો તે એક વેક-અપ કોલ છે. તેમણે ઉમેર્યું કે, કોવિડ-૧૯ના દર્દીઓને પ્રાથમિકતાના ધોરણે સારવાર આપવી જોઈએ.

(11:48 am IST)