ગુજરાતના વધુ 100 માછીમારો પાકિસ્તાને જેલ મુક્ત કર્યા : ગુરુવારે વતન પહોંચેશે :માલીર જેલમાં હતા કેદ
ગીર સોમનાથના 81,દીવના 10,પોરબંદરના પાંચ,ભાવનગરના બે અને જૂનાગઢ અને અમદાવાદ જિલ્લાનો એક માછીમાર થશે જેલમુક્ત
અમદાવાદ ;ગુજરાતના વધુ 100 માછીમારોને પાકિસ્તાને જેલમુક્ત કર્યા છે આ જેલમુક્ત માછીમારો વાઘા બોર્ડર પર પહોંચી ચુક્યા છે અહીંથી ટ્રેન મારફતે અમૃતસરથી વડોદરા પહોંચશે અને ત્યાંથી બસ મારફતે માછીમારો ગુરુવારે વેરાવળ પહોંચશે.
મળતી માહિતી મુજબ, આ તમામ માછીમારો ગુજરાતનાં વતનની છે અને ડિસેમ્બર 2017થી પાકિસ્તાનની માલિર જેલમાં કેદ હતા. આ તમામ માછીમારો 2017 પછીનાં સમયગાળામાં પકડાયેલા છે.જે 100 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે તેમાં 81 માછીમારો ગીર-સોમનાથ જીલ્લાનાં છે, પાંચ માછીમારો પોરબંદર, 10 માછીમારો દિવ, બે માછીમારો ભાવનગર, એક માછીમાર જૂનાગઢ અને એક માછીમાર અમદાવાદ જીલ્લાનો વતનની છે.
આ પહેલા, 5 ડિસેમ્બરનાં રોજ પાકિસ્તાને 360 ભારતીય કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. જેમાં 355 માછીમારોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં પાકિસ્તાને 300 માછીમારોને મુક્ત કર્યા છે. આગામી 29મી એપ્રિલે વધુ 60 ભારતીય કેદીઓ જેમાં 55 માછીમારોનો સમાવેશ થાય છે તેમને મુક્ત કરાશે.
આ પહેલા, ગયા અઠવાડિયે, પાકિસ્તાન જેલમાં માંદગીનાં કારણે મૃત્યુ પામેલા ઉના તાલુકામાં આવેલા પાલડી ગામનાં વતની ભીખાભાઇ બાંભણીયાનાં પાર્થિવ દેહને વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. માછીમારો વતન પરત ફરતા તેમના પરિવારોમાં હર્ષની લાગણી જોવા મળે છે