ગુજરાત
News of Monday, 22nd April 2019

કઠલાલના ખોખરવાડામાં પૈસા પરત આપવા મામલે ત્રણ ભાઈઓએ મળી સગા ભાઈ-ભાભીને ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર

કઠલાલ:તાલુકાના ખોખરવાડામાં આપેલા પૈસા પરત માંગતા ઉશ્કેરાયેલા ભાઈએ અન્ય બે ભાઈઓની મદદથી ભાઈ અને ભાભીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર મચી છે. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 

આ અંગે મળતી માહિતી મુજબ કઠલાલ તાલુકાના ખોખરવાડામાં મસ્જિદની સામે આવેલ માતાવાળા ફળીયામાં રહેતાં આમીરઅહેમદ ગુલામનબી ખોખર વરઘોડા માટે ભાડે ઘોડાનો વેપાર કરી ગુજરાન ચલાવે છે. તેમનો ખોખરવાડા ગામમાં રોડ નજીક ઘોડાનો તબેલો આવેલો છે. ગતરોજ સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં તેઓ તેમના પત્નિ સાહીસ્થાબાનુ સાથે ઘોડાના તબેલે ગયાં હતાં. ત્યારે આમીરહુસેનના સગા ભાઈઓ વસીનઅહેમદ, મોસીનઅહેમદ અને જીસાનઅહેમદ તબેલે આવ્યાં હતાં. જેમાંના એક ભાઈ વસીમઅહેમદે બકરાંનો વેપાર કરવા માટે આમીરઅહેમદ પાસેથી અગાઉ રૂ.૫૦,૦૦૦ ઉછીના લીધાં હતાં. જે રૂપિયા વસીમઅહેમદ પાસેથી પરત માંગતાં તે ઉશ્કેરાઈ ગયો હતો. અને અપશબ્દો બોલી આમીરઅહેમદને મારવા લાગ્યો હતો. તેમજ સાથે આવેલા બે ભાઈઓ મોસીનઅહેમદ અને જીસાનઅહેમદ પણ આમીરઅહેમદને ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં. જેથી ત્યાં હાજર આમીરઅહેમદની પત્નિ સાહીસ્થાબાનુ છોડાવવા વચ્ચે પડ્યાં હતાં. જો કે તેમને પણ ગડદાપાટુનો માર મારતાં તેઓ ઈજાગ્રસ્ત બન્યાં હતાં. આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્રિત થતાં ત્રણેય ભાઈઓ આમીરઅહેમદને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છુટ્યાં હતાં. 

(5:48 pm IST)