આણંદ તાલુકાના બોરીયાવીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી 21 હજારની ઉઠાંતરી કરી છૂમંતર
આણંદ:તાલુકાના બોરીયાવી ગામે દશેક દિવસ પહેલાં ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવીને તિજોરી તોડી અંદરથી ૨૧૮૦૦ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર મુળ બોરીયાવીના પરંતુ હાલ કણજરી ખાતે માતા-પિતા સાથે રહેતા પંકજભાઈ મોહનભાઈ કાછીયા પટેલના પિતા ગત ૨૭મી માર્ચના રોજ ગુજરી જતાં તેઓ દરરોજ સવારે જતા હતા અને રાત્રીના સુમારે પરત ફરતા હતા. તેમનો જૂનો સામાન બોરીયાવી સ્થિત ઘરે મૂકી રાખ્યો હતો. દરમ્યાન ગત ૧૦મી તારીખના રોજ કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને બંધ મકાનના નકુચા-તાળા તોડીને અંદર ઘુસ્યા હતા અને તિજોરી તોડી નાંખીને અંદર મૂકેલ સોનાની ચેઈન, બે જોડી સોનાની બુટ્ટી, સોનાની ચીપવાળી પ્લાસ્ટીકની બંગડી, રોકડા ૨ હજાર મળીને કુલ ૨૧૮૦૦ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.