કોંગ્રેસ ૧૫થી વધુ બેઠકો જીતશેઃ સાતવ
પ્રદેશ પ્રમુખ ચાવડા કહે છે કે, પ્રચાર વખતે કોંગ્રેસને જબરો પ્રતિસાદ મળ્યો છેઃ પ્રચાર પડઘમ શાંત થતા જ અહેમદ પટેલ-રાજીવ સાતવ-અમિત ચાવડાએ બેઠકદીઠ કરી સમિક્ષા
અમદાવાદ, તા. ૨૨ :. ગુજરાતમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતા જ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ટોચના આગેવાનોએ ગુજરાતની તમામ ૨૬ બેઠક પર સમિક્ષા આદરી હતી. રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલ, રાજ્ય પ્રભારી રાજીવ સાતવ અને અમિતભાઈ ચાવડા આખરી ગોઠવણમાં ગૂંથાયા છે. અહેમદભાઈએ સ્પષ્ટ કહ્યુ છે કે, ૧૪ થી ૧૫ બેઠકો ભાજપ પાસેથી ખૂંચવીશુ ત્યારે પ્રભારી સાતવે ૧૫ થી વધુ બેઠકનો આશાવાદ દર્શાવ્યો છે. અમિત ચાવડાના જણાવ્યા મુજબ ચૂંટણી પ્રચાર વખત કોંગ્રેસને મતદારોનું વ્યાપક સમર્થન જોવા મળ્યુ છે અમે સુંદર દેખાવ કરશું.
રાજકોટ મુલાકાત વખતે કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન અહેમદભાઈ પટેલે સ્પષ્ટ જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્રની સાતમાંથી ત્રણ થી ચાર બેઠક અને ગુજરાતમાંથી દસ જેટલી બેઠકો પર કોંગ્રેસ વિજયી બનશે.
કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે એવો દાવો કર્યો હતો કે કોંગ્રેસ ગુજરાતમાં ૨૬માંથી ૧૫થી વધુ બેઠકો પર જીત હાંસલ કરશે. ગુજરાતમાં જનતા હવે પરિવર્તન ઈચ્છે છે. ભાજપ સરકારના ખોટા વાયદા-વચનોથી જ નહીં, સરકારની નિષ્ફળતાને લીધે ગુજરાતની જનતા નાખુશ છે.કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે ભાજપ સરકાર પર નિશાન સાધી જણાવ્યું કે, મોંઘવારીએ માઝા મુકી છે. આમજનતા માટે જીવન જીવવું દોહ્યલુ બન્યુ છે. શિક્ષિત યુવાનો નોકરી-રોજગારી માટે ફાંફા મારી રહ્યા છે. ખેડૂતો આત્મહત્યા કરવા મજબુર બન્યા છે. પાંચ વર્ષના શાસનમાં ભાજપે પ્રજાલક્ષી કાર્યો જ કર્યા નથી. હવે જનતાએ ભાજપને સત્તા પરથી દૂર કરવા મનોમન નક્કી કરી લીધુ છે જે અમને ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યુ છે.
કોંગ્રેસે પ્રજાલક્ષી વાતો સાથે હકારાત્મક મુદ્દા સાથે ચૂંટણી પ્રચાર કર્યુ જ્યારે ભાજપે હલકી ભાષાનો ઉપયોગ કરી નકારાત્મક મુદ્દાઓ સાથે ચૂંટણી પ્રચાર કર્યો છે તેવો આક્ષેપ કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે કોંગ્રેસે મુદ્દા આધારિત ચૂંટણી ઢંઢેરાની વાતો લોકો સમક્ષ મુકી હતી. કોંગ્રેસને રાજ્યમાં જનસમર્થન સાંપડયુ છે. લોકોમાં ભાજપ વિરૂદ્ધ આક્રોશ છે. ભાજપ પાસે ચૂંટણી માટે મુદ્દઓ નથી એટલે જ તે અન્ય મુદ્દા ઉઠાવી પ્રજાને ગેરમાર્ગે દોરે છે. ભાજપના શાસનની નિષ્ફળતાથી પ્રજા હવે કંટાળી ચુકી છે.
ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતા જ મોડી સાંજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ અહેમદ પટેલ અને પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં ૨૬ બેઠકોમાં મત વિસ્તાર દીઠ કેવી પરિસ્થિતિ છે તેનો તાગ મેળવાયો હતો. આ ઉપરાંત મત વિસ્તારમાં અસંતુષ્ટો પર પણ નજર રાખવા સૂચના અપાઈ છે. સ્થાનિક આગેવાનો-કાર્યકરોને વધુમાં વધુ મતદાન થાય તે માટેય આદેશો અપાયા છે. હવે બુથ મેનેજમેન્ટ પર કોંગ્રેસે ભાર મુકયો છે.