અંબાજીમાં પોષી પૂનમના દિવસે હજારો ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું
અંબાજી:સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે પોષી પૂનમ નિમિત્તે મંદિરના શક્તિદ્વારથી ભવ્ય શોભાયાત્રા નીકળનાર છે. જયારે ગબ્બર પર્વત પરથી ધામધુમપૂર્વક અખંડ જયોતને મંદીરે લાવવામાં આવશે. જેમાં રાજયભરમાંથી હજારો માઈભક્તો ઉત્સાહપૂર્વક ભાગ લઈ દર્શનનો લાભ ઉઠાવશે. આ પ્રસંગે બે હજાર કિલોની સુખડીનો પ્રસાદનુ શ્રધ્ધાળુઓને વિતરણ કરવામાં આવશે. સમગ્ર મંદિરને રંગબેરંગી ફુલો અને રોશનીથી શણગારવામાં આવ્યુ છે.
જેના કારણે મંદિરનો નજારો આલ્હાદક જોવા મળે છે. જગતજનની મા અંબાનો પ્રાગટય દિવસ હોવાથી પોષી પુનમનુ માઈભક્તોમાં વિશેષ મહત્વ હોય છે. પોષી પૂનમને શાકંભરી પૂનક અથવા સુખડી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. મા અંબાનો પ્રાગટય દિવસ હોવાથી આ અનમોલ અવસરને માણવા હજારો માઈભક્તો અંબાજીધામમાં ઉમટી પડશે.