બિટકોઇન : જગદીશ પટેલ તેમજ કેતન પટેલને જામીન
હાઇકોર્ટે બંને આરોપીઓને શરતી જામીન આપ્યા : બંને આરોપીઓને ઘણા મહિના બાદ કોર્ટે જામીન આપ્યા
અમદાવાદ,તા.૨૧ : ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા કરોડો રૂપિયાના ટિકોઇન કૌભાંડમાં જેલમાં ધકેલાયેલા અમરેલીના પુર્વ પોલીસ સુપ્રીટેન્ડન્ટ જગદીશ પટેલ અને સુરતના વકીલ કેતન પટેલે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી જામીન અરજી જસ્ટિસ એ.જે.દેસાઇએ ગ્રાહ્ય રાખી તેઓને જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો. બંને આરોપીઓને ઘણા મહિના બાદ હાઇકોર્ટમાંથી જામીન મળ્યા છે. ગત ફેબ્રુઆરી મહિના સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું ગાંધીનગરમાંથી અપહરણ કરી તેમને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખી રૂ. ૧૨ કરોડના બિટકોઇન લૂંટી લેવાનો અમરેલી પોલીસ ઉપર આરોપ થયો હતો, જેમાં ગુજરાત સીઆઈડી ક્રાઈમ દ્વારા એક ડઝન કરતા વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદની સાબરમતી જેલમાં રહેલા આઈપીએસ અધિકારી જગદીશ પટેલ અને સુરતના વકીલ કેતન પટેલ દ્વારા કરવામાં આવેલી જામીન અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તેઓ છેલ્લાં આઠ મહિનાથી જેલમાં છે. આ કેસની તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ પુરી દેવામાં આવી છે. જ્યારે આ કેસના એક આરોપી કિરીટ પાલડિયાને અગાઉ ગુજરાત હાઈકોર્ટ જામીન આપી ચુકી છે ત્યારે કિરીટ પાલડિયાયાની જેમ તેમને પણ જામીન આપવામાં આવે. જસ્ટિસ એ.જે.દેસાઈએ આ મામલે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ જગદીશ પટેલ અને કેતન પટેલને જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેતન પટેલ અને પુર્વ ધારાસભ્ય નલીન કોટડિયાને જાણકારી મળી હતી કે, સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ અને તેમના સાથીઓ મળી સુરતના ધવલ માવાણી પાસેથી ૧૫૦ કરોડના બિટકોઇન લૂંટી લીધા છે. જેના આધારે કોટડિયા, કેતન પટેલ અને કિરીટ પાલડિયાએ મીટીંગ કરી શૈલેષ ભટ્ટને લૂંટી લેવાની યોજના બનાવી હતી. જેમાં સૌથી પહેલા સીબીઆઈ ઈન્સપેકટર સુનીલ નાયર દ્વારા પાંચ કરોડ રોકડા લઈ લેવામાં આવ્યા હતા ત્યાર બાદ અમરેલી પોલીસ સાથે મળી બાર કરોડના બિટકોઇન લઈ લીધા હતા. આ મામલે ફરિયાદ થતાં સીઆઈડીએ તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. તાજેતરમાં અમદાવાદ કોર્ટ દ્વારા માતાની બીમારીની સારવાર માટે આ કૌભાંડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાને હંગામી જામીન આપ્યા હતા ત્યાર બાદ હવે જગદીશ પટેલ અને કેતન પટેલને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા છે.