મોદી સરકારે દેશને ૨૫ વર્ષ પાછળ ધકેલી દીધો : કોંગ્રેસ
કોંગ્રેસના રાષ્ટ્રીય દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ એહમદ પટેલના ભાજપ પર આકરા પ્રહારો : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ફેબ્રુઆરી-માર્ચમાં ગુજરાતના પ્રવાસે આવશે : ચાર ઝોનમાં સભાની તૈયારી
અમદાવાદ,તા. ૨૧ : લોકસભા ચૂંટણી ૨૦૧૯ની તૈયારીઓને લઈ આજે અમદાવાદ શહેર ખાતે કોંગ્રેસની બહુ જ મહત્વની કારોબારી બેઠક મળી હતી. આ કારોબારીમાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ અહમદ પટેલે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે એહમદ પટેલે ગુજરાત અને કેન્દ્ર સરકારની આકરી ટીકા કરતા જણાવ્યું કે, ખુદ ભાજપના લોકો જ કહે છે કે, આ વખતે હારીશું તો ૨૦૦ વર્ષ સુધી સત્તામાં નહીં આવીએ. મોદી સરકારે દેશને ૨૫ વર્ષ પાછળ ધકેલી દીધો છે અને રાજ્ય અને દેશના લોકોને બરબાદ કરી નાંખ્યા છે. રામ મંદિર મુદ્દે એહમદ પટેલે જણાવ્યું કે, અમારૂ સ્ટેન્ડ ક્લીયર છે. રામમંદિર મામલે કોર્ટનો ફેંસલો કોંગ્રેસને માન્ય રહેશે, લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો જીતવાનો પ્રયાસ કરીશું
કોંગ્રેસ પક્ષની આજની કારોબારીમાં ગુજરાતના કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલની હાજરી બહુ મહત્વની અને નોંધનીય રહી હતી. કારોબારી બેઠકમાંમાં અહેમદ પટેલે કોંગ્રેસનાં કાર્યકારોને આગામી લોકસભા ચૂંટણીને લઈ પાર્ટીના કાર્યકર્તાઓને માર્ગદર્શન પણ આપ્યું હતું. આ દરમિયાન અહેમદ પટેલે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાતના કારણે લોકોને શું ફાયદો થયો તે ગુજરાતની સરકારે પ્રજા સમક્ષ કહેવું જોઈએ. વાયબ્રન્ટ ગુજરાતમાં કેટલું રોકાણ થયું તેના પર ભાજપ સરકારે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ. આ સાથે જ અહેમદ પટેલે એવો પણ સવાલ કર્યો હતો કે, ૯મી વાઇબ્રન્ટ સમિટમાં અમેરિકા અને યૂકે કેમ ન આવ્યું?. કેટલું રોકાણ આવ્યું અને શું ફાયદો થયો એ ક્યાંય દેખાતું નથી. કેટલા કરાર થયા છે અને વાસ્તવિક અમલ કેટલો થયો તે અંગે સરકારે સમગ્ર ચિત્ર લોકો સમક્ષ સ્પષ્ટ કરવું જોઇએ. આ સાથે જ રામમંદિર મુદ્દે ઉલ્લેખ કરતા અહેમદ પટેલે જણાવ્યું કે, રામ મંદિર મુદ્દે અમારૂ સ્ટેન્ડ ક્લીયર છે. રામમંદિર મામલે કોર્ટનો ફેંસલો કોંગ્રેસને માન્ય રહેશે, લોકસભાની ચૂંટણીમાં ૨૬ બેઠકો જીતવાનો પ્રયાસ કરીશું. વિપક્ષનાં ગઠબંધન મુદ્દે તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાગઠબંધનથી ડર લાગ્યો તેમ લાગે છે. ગુજરાતની રૂપાણી સરકાર અને કેન્દ્રની મોદી સરકાર સામે હુમલો કરતાં પટેલે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યનું દેવું વધી ગયું છે. ૮૦ લાખ કરોડ કેન્દ્રનું દેવું છે જ્યારે ૨થી ૩ લાખ કરોડ ગુજરાતનું દેવું થઈ ગયું છે. ૨૦૧૪નું વાતાવરણ અલગ હતું અને ૨૦૧૯નું આ વખતનું વાતારણ અલગ છે. અમે ગુજરાતની તમામ એટલે કે ૨૬ લોકસભા બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. મોદી સરકારના રાજમાં રાજ્ય અને દેશ બરબાદ થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે પબ્લિસિટી પાછળ રૂ.૬ હજાર કરોડ ખર્ચ્યાં છે. દેશને રાજકીય આઝાદી બાદ કોંગ્રેસે આર્થિક આઝાદી અપાવી હતી. ભાજપ ખોટા વાયદાઓ કરી સરકારમાં આવ્યું છે. આ સિવાય રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ફેબ્રુઆરી અને માર્ચમાં ગુજરાતના પ્રવાસે આવશે અને ચાર ઝોનમાં સભાઓ પણ ગજવશે.