ગુજરાત
News of Monday, 22nd January 2018

વડગામ તાલુકાના પીલુચા ગામે કાર-રીક્ષા વચ્ચે ગોઝાર અકસ્માતમાં આધેડનું ઘટનાસ્થળેજ ઢીમ ઢળ્યું

વડગામ:તાલુકાના પિલુચા અને ઈકબાલગઢ ગામ વચ્ચે કાર અને રિક્ષા સામસામે ટકરાઈ જતાં રિક્ષામાં બેઠેલા ૬૦ વર્ષના શખ્સનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. જ્યારે રિક્ષા ચાલક તેમજ રિક્ષામા ંબેઠેલી મહિલાને ગંભીર ઈજાઓ થવા પામી હતી.  
ઘટના સ્થળેથી જ પ્રાપ્ત થતી વિગત અનુસાર વડગામ તાલુકાના ઈકબાલગઢ ગામના રહેવાસી પરથીજી ચેલાજી ઠાકોર અંદાજીત ઉ.વ.૪૪ પિલુચા તરફથી રિક્ષા લઈને ઈકબાલગઢ જઈ રહ્યા હતા જેમાં રામાજી ઠાકોર ઉ.વ.૬૦ તથા મધુબેન પરમાર ઉ.વ.૪૦ રિક્ષામાં બેઠેલા હતા. રિક્ષા પિલુચાથી ઈકબાલગઢ જઈ રહી હતી તે દરમ્યાન પિલુચા નજીક ઈકબાલગઢ તરફથી આવતી કાર અને રિક્ષા સામસામે ધડાકાભેર ટકરાઈ જતાં રિક્ષામાં બેઠેલા રામાજી ઠાકોરનુ ઘટના સ્થળે જ મોત થયું હતું. કાર અને રિક્ષાના અથડાવાના અવાજથી આસપાસના ખેતરોમાં રહેતા લોકો રોડ પર દોડી આવીને ઈજાગ્રસ્ત રિક્ષાચાલકને દવાખાને ખસેડાયો હતો.  જેમાં ઘટના સ્થળે મૃત્યુ પામેલ વૃધ્ધને વડગામ સીએચસીમાં પી.એમ. માટે લઈ જવાયા હતા. આ અકસ્માતની જાણ ઈકબાલગઢ અને પીલુચા ગામમાં વાયુવેગે પ્રસરી જતાં બન્ને ગામમાંથી લોકોના ટોળા અકસ્માત સ્થળે ઉમટી પડયા હતા.
કારનો ચાલક કારને અકસ્માત સ્થળે  જ મુકીને રફુચક્કર થઈ ગયો હતો. પોલીસ પણ દોડી આવીને ઘટનાસ્થળે પંચનામુ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:56 pm IST)