25 ડિસેમ્બરે અટલજીના જન્મદિવસે ખેડૂતોના ખાતામાં 18 હજાર જમા થશે : સી,આર,પાટીલ
“પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ” યોજના હેઠળ નવ કરોડ ખેડૂતોના ખાતામાં અઢાર હજાર કરોડ એક જ ક્લિકમાં જમા કરાશે
અમદાવાદ : આગામી 25 ડિસેમ્બરના રોજ સુશાસન દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અટલજીના સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત તે જ દિવસે બપોરે 12:00 કલાકે વડાપ્રધાન મોદી દ્વારા ખેડૂત હિત અને ખેડૂતો માટે કૃષિ બિલનું મહત્વ વિશે સમગ્ર દેશની જનતાને સંબોધિત કરવામાં આવશે. સાથે સાથે તેઓના હસ્તે કૃષિ સહાય રૂપે “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ” યોજના હેઠળ નવ કરોડ ખેડૂતોના ખાતામાં અઢાર હજાર કરોડ રૂપિયા એક જ ક્લિકમાં જમા કરાવવામાં આવશે તેમ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું છે.
વર્ચ્યુઅલ બેઠકને સંબોધતા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે આગામી 25 ડિસેમ્બરે ભારત રત્ન, પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજીની જન્મ જયંતિ છે. પ્રત્યેક વર્ષે અટલજીના જન્મદિવસને ભાજપ દ્વારા ‘સુશાસન દિવસ’ તરીકે મનાવવામાં આવે છે
વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપ સરકાર અંત્યોદયના લક્ષ્ય સાથે ગરીબો તેમજ ખેડૂતો પ્રત્યે સમર્પિત છે. આ માટે તમામ વર્તમાન અને પૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના પદાધિકારીઓ, સક્રિય સભ્યો અને કાર્યકર્તાઓ એક સાથે ગુજરાતના પ્રત્યેક ગ્રામ્ય વિસ્તારમાં પહોંચીને કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકારની ગરીબો અને ખેડૂત હિતકારી યોજનાઓ અને ઉપલબ્ધિઓ જન-જન સુધી પહોંચાડે તે ઇચ્છનીય છે. આ ઉપરાંત 25 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બપોરે 12:00 કલાકે ખેડૂતહિત અને ખેડૂતો માટે કૃષિ બિલનું મહત્વના સંદર્ભમાં યોજાનાર સંબોધનનો લાભ લોકોને મહત્તમ રીતે મળે તે માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ સમગ્ર ભાજપ સંગઠનને તેઓએ અપીલ કરી હતી.
પાટીલે પેજ કમિટીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ભાજપ સંગઠન દ્વારા પેજ કમિટી ની કામગીરી ખૂબ સરસ રીતે ચાલી રહી છે. આ માટે તેઓએ તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત આ કામગીરીમાં જુદા- જુદા વ્યવસાય સાથે સંકળાયેલા સમાજના પ્રતિષ્ઠિત લોકોને પણ સામેલ કરીને પેજ કમિટીની રચના કરવા સૂચન કર્યું હતું.
અંતમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલા એ પણ પેજ કમિટીની કામગીરી પૂર્ણ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે હું આ તબક્કે આ સર્વે મહાનુભાવોનો હાર્દિક આભાર માનું છું.
21 ડિસેમ્બરના રોજ સાંજે 5:00 કલાકે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશના પદાધિકારીઓ, ધારાસભ્યો અને સાંસદો, જિલ્લા ભાજપ પ્રમુખ /મહામંત્રીઓ, જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ઇન્ચાર્જો સાથેની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં પ્રદેશ મહામંત્રીઓ ભરતસિંહ પરમાર, કે.સી. પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષો આઈ. કે જાડેજા, ગોરધન ઝડફીયા, પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ બાબુ જેબલિયા, પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યા તથા પ્રદેશ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા