ગુજરાત
News of Thursday, 21st November 2019

અમદાવાદમાં જીવલેણ બનતા બીઆરટીએસ કોરિડોરને હટાવવા માંગ :કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન :બંગડી બતાવાઈ

વિરોધ પ્રદર્શનને પગલે એએમસી બિલ્ડીંગ પોલીસ છાવણીમાં ફેરવાઈ

 

અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં આજે સવારે બીઆરટીએસ બસની અડફેટે બે યુવકોના મોત નિપજ્યા હતા. ત્યારે અમદાવાદમાં જીવલેણ બની રહેલ બીઆરટીએસ કોરિડોરને હટાવવાની માંગ સાથે અમદાવાદ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ બીઆરટીએસના વિરોધમાં AMC ઓફિસ ખાતે પહોંચી ગયા હતા  કોગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બંગડી બતાવીને સત્તા પક્ષનો વિરોધ કરાયો હતો વિરોધ પ્રદર્શનને પગલે એએમસી બિલ્ડીંગ પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી  તેમજ યુવકોના પરિવારજનોને સહાય કરવાની પણ માંગ ઉઠી છે.

બીઆરટીએસ અકસ્માત પગલે કોંગ્રેસના કાર્યકર્તાઓએ એએમસી બિલ્ડીંગ ખાતે ઉગ્ર દેખાવો કર્યા હતા. તેઓ દ્વારા અનેક માંગ કરાઈ છે, અને જો તેમની માંગ પૂરી કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની પણ ચીમકી આપવામા આવી છે. એએમસીના તમામ દરવાજા બંધ કરી દેવાયા હતા. તો તેને પગલે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા, તેઓએ એક માંગ કરી છે કે, કોન્ટ્રાક્ટર સામે પગલા લેવામાં આવે. સાથે તેઓએ આવી ઘટનાઓ સામે પગલા લેવામાં આવે તેવું પણ જણાવ્યું. પોલીસ દ્વારા મામલો શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

(11:45 pm IST)