વિરમગામ તાલુકાના ખેંગારીયા ખાતે આયોડીન ડેફીસીઅન્સી ડિસઓર્ડર પ્રિવેન્શન સેમીનાર યોજાયો
પુખ્ત વ્યકિતને દૈનિક ૧૫૦ માઇક્રોગ્રામ આયોડીનની જરૂરીયાત હોય છે : આયોડીનયુક્ત મીઠું દેખાવ, સ્વાદ અને સુગંધમાં સાદા મીઠા જેવું જ હોય છે
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયાના સંયુક્ત ઉપક્રમે ખેંગારીયા ખાતે આયોડીન ડેફીસીઅન્સી ડિસઓર્ડર પ્રિવેન્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સેમીનારમાં ઉપસ્થીત લોકોને આયોડિનયુક્ત મીઠુ, આયોડીનની ઉણપથી થતી ખામીઓ, આયોડીનની જરૂરીયાત વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સેમીનારમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલા, એન.આઇ કો-ઓર્ડીનેટર ચેતન પટેલ, પી.એ ન્યુટ્રીશન તૃપ્તિ ભટ્ટ, નીલકંઠ વાસુકીયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થીત રહ્યા હતા.
તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાએ સેમીનારમાં જણાવ્યુ હતુ કે, આયોડીનયુક્ત મીઠું એ થોડી માત્રામાં પોટેશીયમ આયોડેટ ભેળવેલ સાધારણ મીઠુ છે. આયોડીનયુક્ત મીઠું દેખાવ, સ્વાદ અને સુગંધમાં સાદા મીઠા જેવું જ હોય છે તેમજ સાધારણ મીઠાની જેમ જ ઉપયોગમાં લઇ શકાય છે. પુખ્ત વ્યકિતને દૈનિક ૧૫૦ માઇક્રોગ્રામ અને સગર્ભા તથા ધાત્રી માતાઓને દૈનિક ૨૫૦ માઇક્રોગ્રામ આયોડીનની જરૂરીયાત હોય છે. આયોડીનની ઉણપના લીધે ગોઇટરના રોગ ઉપરાંત બાળકમાં જન્મ પહેલા પણ કાયમી ખામી અને સગર્ભામાતાઓમાં કસુવાવડ, મૃતજન્મ, જન્મજાત ખામીઓ ઉદભવી શકે છે. આયોડીનની ઉણપના કારણે થતી તકલીફો દુર કરવા માટે રસોઇમાં આયોડીનયુક્ત મીઠાનો જ ઉપયોગ કરવો જોઇએ. આયોડીન સામાન્ય રીતે માટી અને પાણીમાં મળે છે. આયોડીનની જરૂર આયોડીનયુક્ત જમીન પર ઉગેલા ખાદ્યપદાર્થોથી પુરી થાય છે.