બનાસકાંઠામાં ચોમાસાની વિદાય સાથે રોગચાળો વકર્યો: ડીપ્થેરીયાની બીમારીના કારણે વધુ એક બાળક કાળનો કોળિયો બન્યું:21 બાળકો સારવાર હેઠળ
બનાસકાંઠા :જિલ્લામાં ચોમાસાની વિદાય સાથે રોગચાળાએ ભરડો લેતા મેલેરિયા, ડેન્ગ્યુ જેવી બિમારીઓ કહેર વર્તાવાનુ શરૃ કરી દેતા ઘેર-ઘેર માંદગીના ખાટલા ખડકાયા હતા અને દવાખાનામાં દર્દીઓના મેળા લાગ્યા હતા. જોકે હજુ ડેન્ગ્યુ તો સમવાનુ નામ લેતો નથી ત્યાં શંકાસ્પદ ડિપ્થેરિયાએ દેખા દઈને એક બાદ એક બાળકોને ઝટપમાં લેતા લોકો ભયભીત થઈ ઉઠયા છે. જોકે ધાનેરા પંથકમાં ટુંકાગાળામાં શંકાસ્પદ ડિપ્થેરિયામાં સપડાયેલ પાંચ બાળકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. જે વચ્ચે અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ધાનેરા તાલુકાના સામરવાડા ગામના 6 વર્ષીય બાળક કિશનભાઈ નેમાભાઈ ગોહિલનુ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. રોગચાળાના કહેર વચ્ચે ધાનેરા તાલુકામાં ૩૬ જેટલા બાળકો શંકાસ્પદ ડિપ્થેરિયામાં સપડાયા હતા. જેમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં શરૃ કરાયેલ ખાસ ઈસુલેશન વોર્ડમાં હાલ 21 બાળકો સારવાર મેળવી રહ્યા છે.