પેટાળ તાલુકાના રંગાઈપુરા ગામે આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલા કાર્યકરે અગમ્ય કારણોસર ફિનાઈલ પી જીવન ટુંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામ્યો
પેટલાદ: તાલુકાના રંગાઈપુરા ગામે આવેલી આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલા કાર્યકરે આજે બપોરના સુમારે ફિનાઈલ પીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે પેટલાદ શહેર પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર મરિયમપુરા ખાતે રહેતા ચન્દ્રીકાબેન વિજયભાઈ પરમાર (ઉ. વ. ૩૯)રંગાઈપુરા ખાતે આવેલી આંગણવાડીમાં ફરજ બજાવે છે. આજે બપોરના એક વાગ્યાના સુમારે તેણીએ એકાએક ફિનાઈલ પી લેતાં તેણીને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં પાંચેક દિવસ પહેલા સુપરવાઈઝર દ્વારા ચન્દ્રીકાબેનને સુખડી નહીં બનાવવા બાબતે ઠપકો આપ્યો હતો જેને લઈને મનમાં લાગી આવતાં ફિનાઈલ પીધું હોવાનું જાણવા મળે છે. જો કે પોલીસે તેનું વિસ્તૃત નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.