રાજ્ય સરકારે ગૌશાળા પાંજરાપોળો ને આંતરમાળખાકીય સુવિધા માટે ૧૦૦ કરોડની યોજના અમલમાં મૂકી છે
બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાને રૂ. ૧૬ કરોડ ચૂકવશે : વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ગાયોનો પ્રશ્ન પુછાતા ગૌસંવર્ધન મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરેલી સ્પષ્ટતા
ગાંધીનગર : વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા ને રૂ. ૧૬ કરોડની રાહત આપવાની જાહેરાત કરી છે
ગાંધીનગર : ગૌ સંવર્ધન મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જીવદયાપ્રેમી અમારી સરકારને જેને ગાય માટે પ્રેમ નથી અમને એમની સાથે પ્રેમ નથી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્યની સંવેદનશીલ સરકારે ગૌશાળા પાંજરાપોળોને સહાયરૂપ થવા માટે રૂ.૧૦૦ કરોડની નવી યોજના જાહેર કરી છે.
આજે વિધાનસભા ખાતે ઉત્તર ગુજરાતમાં ગાયોને રસ્તા પર છોડી દેવા બાબતના ટૂંકી મુદતના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી શ્રી ચુડાસમાએ કહ્યું કે, રાજ્યની રજિસ્ટર્ડ ગૌશાળાઓ-પાંજરાપોળોમાં માળખાગત સવલતોના નિર્માણ માટે આ ૧૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે. પાંજરાપોળના સંચાલકોને એક ગાય કે પશુદીઠ ઘાસચારા સહાય આપવા બાબતે કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીમાં પશુઓ પ્રત્યે જીવદયાની ભાવના રાખીને રાજ્યની તમામ રજિસ્ટર્ડ ગૌશાળા-પાંજરાપોળોના પશુઓ માટે પ્રતિદિન પશુદીઠ રૂ.૨૫ લેખે એપ્રિલ-મે-૨૦૨૦ દરમિયાન રૂ.૬૧.૧૪ કરોડની સહાય ચૂકવાઇ છે.
જે પૈકી બનાસકાંઠાની ગૌશાળા-પાંજરાપોળોને રૂ. ૧૦.૭૨ કરોડની સહાય ચૂકવાઇ છે. ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોની રજૂઆતને ધ્યાને લઇને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આગામી ત્રણ માસ આ સહાય ચૂકવવાનો પણ મહત્વનો નિર્ણય કર્યો છે. આ માટે રૂ. ૧૦૦ કરોડની સહાય ચૂકવાશે. જે પૈકી બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા-પાંજરાપોળોને રૂ.૧૬ કરોડ ચૂકવાશે.
તેમણે ઉમેર્યું કે, જીવદયા પ્રેમી અમારી સરકારે પક્ષીઓને બચાવવા માટે ઉત્તરાયણના પર્વ દરમિયાન કરુણા અભિયાન શરૂ કરીને પક્ષીઓના જીવ બચાવ્યા છે એ જ રીતે પશુઓને ત્વરિત સારવાર આપવા માટે પણ કરુણા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.