ગુજરાત
News of Monday, 21st September 2020

કળયુગની શ્રવણ બની દીકરીઓ : જોધપુરની સુવિખ્યાત હોસ્પિટલોએ ઓપરેશનનું કહ્યુ : અમદાવાદ સિવિલ હોસ્પિટલે દવાથી જ મીનાબહેનને સાજા કરી દીધા

જોધપુરથી અમદાવાદ લઈ આવી મારી દીકરીઓએ સારવાર કરાવી પીડામાંથી મુક્તિ અપાવી - મીનાબહેન ઉપાધ્યાય

અમદાવાદ : રામાયણના શ્રવણના પાત્રને કોણ નથી ઓળખતું... માતા-પિતાની સેવા-શુશ્રુષાનું ઉત્તમ ઉદાહરણ એટલે શ્રવણ.. અંધ માતા પિતાની તમામ ઈચ્છાઓ પુરી કરવા શ્રવણ સંકલ્પબદ્ધ હતા...

આજે કળયુગમાં પણ જોધપુરની દીકરીઓએ શ્રવણ બની પોતાની માતાની સેવા કરી રહી છે.. માતાને પીડામુક્ત કરવા છેક જોધપુરથી મુસાફરી કરી અમદાવાદ આવી અજાણ્યા શહેરમાં પણ દોડધામ કરીને સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી પોતાની માતાને પીડામુક્ત કરી છે.

રાજસ્થાન જોધપુરના ૫૪ વર્ષીય મીનાબેન ઉપાધ્યાય ૪ વર્ષથી યુટ્રસની તકલીફના કારણે તકલીફમાં હતા.. જોધપુરની સરકારી હોસ્પિટલથી માંડી ઘણી સુવિખ્યાત ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર કરાવી પરંતુ નિરાકરણ આવ્યુ નહીં.. તકલીફ વધી જતા ખાનગી હોસ્પિટલના તબીબોએ ઓપરેશનનું કહી દીધું તે પણ અતિગંભીર...જે સાંભળી મીનાબહેનનો સમગ્ર પરિવાર ચિંતાતુર બન્યો.

મીનાબહેનના સગા દ્વારા તેમને સિવિલમાં એકવખત બતાવવા કહેવામાં આવ્યુ.તેમની સલાહ માનીને મીનાબહેન સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે આવી પહોંચ્યો.. અહીં ના ગાયનેક વિભાગના તબીબોએ સમગ્ર પરિસ્થિતિનું વિહંગાવલોકન કર્યુ સાથે સાથે વિવિધ રીપોર્ટસ કરાવ્યા..
રીપોર્ટસ કરાવતા જાણવા મળ્યુ કે યુટ્રસમાં ઓપરેશન કરવા જેવી કોઈપણ જાતની આવશ્યકતા લાગતી ન હતી. જેથી તેઓએ મીનાબહેનને ૧૫ દિવસની દવા લખી આપી...તેની સાથે તેમને ગળાના ભાગમાં પણ તકલીફ ધ્યાને આવી. તેમના કફમાં લોહી નિકળતું હતુ જેના માટે સિવિલ હોસ્પિટલના ઈ. એન. ટી. વિભાગ દ્વારા ૧૫ દિવસની દવા લખી આપવામાં આવી.
૪ વર્ષથી વિવિધ તકલીફોની પીડાના કારણે મીનાબહેનની માનસિક સ્થિતિ પણ નબળી પડી હતી જેના નિદાન માટે પણ તેમણે સિવિલ હોસ્પિટલમાં બતાવ્યુ.

આજે ૧૫ દિવસની દવાઓ લીધા બાદ ફરી વખત મીનાબહેન તેમની દિકરીઓ સાથે સિવિલ હોસ્પિટલ આવ્યા ત્યારે ચહેરા પર સ્મિત રેડાતુ હતુ.. તેઓ કહી રહ્યા હતા કે મને તદ્દન સારુ થઈ ગયુ છે. હું કોઈપણ જાતની પીડા કે વેદના હવે અનુભવી રહી નથી.

મીનાબહેન ઉપાધ્યાય કહે છે કે જોધપુરની વિવિધ હોસ્પિટલમાં જ્યારે  મારી તકલીફનુ઼ નિરાકરણ ના આવી શક્યુ તો હું નિરાશ થઈ ગઈ હતી. પરંતુ મારી બંને દીકરીઓએ સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરીને મારી સારવાર અર્થે મને જોધપુરથી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા.. મારી સ્વાસ્થયની દરકાર કરીને મારી બંને દીકરીઓ દોડતી રહી.. અજાણ્યા શહેરમાં રહેવાની વ્યવસ્થા કરી.. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે વિવિધ તબીબોને મળીને મારી શ્રેષ્ઠ સારવાર કરાવી મને વિવિધ પીડાઓમાંથી મુક્તિ અપાવી છે.

મારી દિકરીઓ઼એ મારા માટે શ્રવણ બનીને કામ કર્યુ છે મારી સેવા-શુશ્રુષા કરી છે. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી દિકરીઓ ભગવાન દરેક માતા-પિતા ને આપે....

સંકલન :- અમિતસિંહ ચૌહાણ

(5:05 pm IST)