ગુજરાત
News of Monday, 21st September 2020

પ્રણવ મુખર્જીનું રાજકીય - સામાજિક ક્ષેત્રે ખૂબ જ મહત્વનું યોગદાન : વિજયભાઇ

પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો, કોરોનામાં અવસાન પામેલ કોરોના વોરીયર્સ - નાગરિકોને શોકાંજલી અર્પણ

ગાંધીનગર તા. ૨૧ : પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતરત્ન સ્વ. પ્રણવ મુખર્જી, ગુજરાતના પૂર્વમંત્રીઓ, ધારાસભ્યો તેમજ કોરોનામાં અવસાન પામેલ કોરોના વોરિયર્સ અને નાગરિકોને વિધાનસભા ગૃહમાં આજે પ્રથમ દિવસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી સહિત મંત્રીઓ અને ધારાસભ્યોએ ભાવપૂર્વક શોકાંજલી અર્પી હતી.ઙ્ગ

વિધાનસભા સત્રના આજે પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ રાષ્ટ્રપતિ-ભારતરત્ન સ્વ. પ્રણવ મુખર્જી, ગુજરાતના પૂર્વ મંત્રી સ્વ. લીલાધરભાઇ વાઘેલા, પૂર્વ રાજય મંત્રી સ્વ. ગીગાભાઇ ગોહિલ, પૂર્વ નાયબ મંત્રી સ્વ. જેશાભાઇ ગોરિયા, પૂર્વ સંસદીય સચિવ સ્વ. કૂરજીભાઇ ભેંસાણિયા, પૂર્વ સભ્ય સ્વ. નટુભાઇ ડાભી, સ્વ. વસંતભાઇ પટેલ, અને સ્વ. મણીલાલ ગાંધીને અવસાન અંગે શ્રદ્ઘાંજલિ આપીને તેમને કરેલા સામાજિક સેવાના કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. ઙ્ગવિજયભાઇએ ગૃહમાં કહ્યું હતું કે, વર્ષ ૧૯૮૧થી ૬ વર્ષ રાજયસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ પ્રણવ મુખર્જીનું રાજકીય-સામાજિક સેવા ક્ષેત્રમાં ખૂબ મહત્વનું યોગદાન રહ્યું હતું. રાષ્ટ્રપતિ માટે 'મહામહિમ' શબ્દની પ્રથાને સમાપ્ત કરવાનો તેઓએ ઐતિહાસિક નિર્ણય કર્યો હતો.

તેમણે દુઃખ સાથે કહ્યું હતું કે, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને અગ્રણી રાજપુરૂષ ભારત રત્ન પ્રણવ મુખર્જીનું તા. ૩૧મી ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ ૮૪ વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થયુ છે. સ્વર્ગસ્થ મુખર્જીનો જન્મ ૧૧મી ડીસેમ્બર, ૧૯૩૫ના રોજ પશ્ચિમ બંગાળ રાજયના બિરભૂમ જિલ્લાના મિરાતી ગામે થયો હતો. તેઓએ સુરી વિદ્યાસાગર કોલેજ, બિરભૂમમાંથી સ્નાતકની પદવી અને કલકત્ત્।ા યુનિવર્સિટીમાંથી રાજયશાસ્ત્ર અને ઇતિહાસમાં અનુસ્નાતકની પદવી તથા કાયદાની પદવી મેળવી હતી. તેમની રાજકીય યાત્રામાં તેમણે આપેલ વિશિષ્ટ પ્રદાનની નોંધ લઈને ઘણી બધી નામી સંસ્થાઓ દ્વારા તેઓશ્રીને માનદ ડોકટરેટની પદવી અર્પણ કરવામાં આવી હતી.ઙ્ગ

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્વર્ગસ્થશ્રી મુખર્જી સન ૧૯૬૯માં પ્રથમ વખત રાજયસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓશ્રી સન ૧૯૭૫, ૧૯૮૧, ૧૯૯૩ અને ૧૯૯૯માં રાજયસભાના સભ્ય તરીકે તથા સન ૨૦૦૪ અને ૨૦૦૯માં લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. શ્રી મુખર્જીએ સંયુકત રાષ્ટ્રની સામાન્ય સભામાં કુલ-૪ વખત ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ, વિશ્વબેન્ક, એશિયન ડેવલપમેન્ટ બેન્ક તથા આફ્રીકન ડેવલપમેન્ટ બેન્કના બોર્ડ ઓફ ગવર્નર તરીકે પણ વર્ષો સુધી ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. સન ૧૯૮૪માં તેઓશ્રીએ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અને વિશ્વબેન્ક સાથે સંકળાયેલ ગૃપ-૨૪ની બેઠકની અધ્યક્ષતા કરી હતી તથા મે અને નવેમ્બર, ૧૯૯૫ની બેંચમાં તેમણે સાર્ક મંત્રી પરિષદની અધ્યક્ષતા પણ કરી હતી.

વિજયભાઇએ કહ્યું હતું કે, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીનો સમગ્ર દેશ સહિત ગુજરાત પણ ભોગ બન્યું છે. આ મહામારીનો ભોગ બનેલા નાગરિકોના જીવ બચાવવા માટે રાત-દિવસ પોતાના જીવના જોખમે સેવા કરતા કર્મશીલો અને કોરોના યોદ્ઘાઓની મહેનતને કારણે આપણે અનેક લોકોના જીવ બચાવી શકયા છીએ.  ભુતકાળમાં કદી ના જોયેલી આ એક એવી ઐતિહાસિક લડાઇ છે કે જેમાં દુશ્મનને નરી આંખે જોઇ શકાતો નથી કે તેનો સંપૂર્ણ ખાત્મો બોલાવી શકાતો નથી. આ લડતમાં તબીબો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, સુરક્ષાદળ, પોલીસના જવાનો, સફાઇ કર્મચારીઓ, આંગણવાડીની બહેનો, રાત-દિવસ કવરેજ કરતાં મીડિયાકર્મીઓ, જાહેર પૂરવઠા વિતરણ સાથે સંકળાયેલ કર્મયોગીઓ અને સેવાભાવી સંસ્થાઓ આ સૌ કોરોના વોરિયર્સની ભૂમિકા મહત્વની બની રહી હોવાનું જણાવેલ.

(4:10 pm IST)