અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો :નારોલ, વટવા, ભાઇપુરા, થલેતજ અને ચાંદખેડા વિસ્તારમાં સંક્રમણ વધ્યું
ઉત્તર પશ્ચિમ ઝોન તથા દક્ષિણ ઝોનમાં ત્રણ- ત્રણ વિસ્તારોમા માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મૂકાયા
અમદાવાદ : રાજ્યમાં કોરોના કેસોનો આંકડો ગઇકાલ કરતાં ઘટયો છે. આજે 1407 કેસો નોંધાયા છે. તેની સામે અમદાવાદમાં શનિવાર કરતાં આજે નવ કેસો વધીને આંકડો 161 પર પહોંચ્યો છે. પરંતુ માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો ઘટયા છે. આજે માત્ર નવ નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં ઉમેરાયા છે.શનિવારે 16 વિસ્તારો હતા
. અમદાવાદમાં થલતેજ, ચાંદખેડા, નારોલ, વટવા, ભાઇપુરા વિસ્તારમાં કોરોનાના કેસો વધુ હોવાથી દક્ષિણ ઝોન તથા ઉત્તર પશ્ચિમ ઝોનમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો વધ્યા છે. આજે અમદાવાદ શહેરમાં કુલ 9 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો ઉમેરાયા છે.
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં હાલમાં અમદાવાદ શહેરમાં 325 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો અમલમાં છે. જે પૈકી રોજની માફક વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 11 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતોતેની સામે 9 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ 325 વિસ્તારોમાંથી 11 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 314 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 9 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 323 પર પહોંચ્યો છે.
નવા જાહેર થયેલા વિસ્તારોમાં દક્ષિણ ઝોનના 3, તથા ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3 અને દક્ષિણ પશ્ચિમ ઝોનના 2, પૂર્વ વિસ્તારમાં 1નો સમાવેશ થાય છે. જેમાં થલતેજ અને વેજલપુરમાં સૌથી વધુ બે વિસ્તારોનો સમાવેશ થયો છે. બાકી ચાંદખોડા, નારોલ, વટવા, ભાઇપુરા તેમ જ વિરાટનગરમાં એક એક વિસ્તારમાં જ માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં ઉમેરાયા છે.
ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલે 21 સપ્ટેમ્બરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે જણાવ્યું છે.