નડિયાદ તાલુકાના ડભાણ-મહેમદાવાદ ચોકડી નજીક સર્જાયેલ જુદા જુદા 3 માર્ગ અકસ્માતમાં 6 મુસાફરોને ગંભીર રીતે ઇજા પહોંચી
નડિયાદ:તાલુકાના ડભાણ ચોકડી, મહેમદાવાદ તાલુકાના કનીજ તેમજ ઠાસરા તાલુકાના ડાકોર નજીક વિતેલા ચોવીસ કલાકમાં સર્જાયેલા અકસ્માતોના ત્રણ બનાવોમાં કુલ છ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે જે તે વિસ્તારના પોલીસ મથકે ગુનાઓ દાખલ થવા પામ્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ વડોદરામાં પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટરના ઓફિસર ક્વાર્ટરમાં રહેતાં અને વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમ ખાતે પોલીસ સબ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતાં મેહુલકુમાર ભગવાનભાઈ સિંધવ ગતરોજ સવારના સમયે પોતાની હ્યુન્ડાઈ આઈ૨૦ ગાડી નં જીજે ૩૮ બીએ ૪૭૭૭ લઈ પોતાના વતન જાલીસણા (તાં.માંડલ જી.અમદાવાદ)થી વડોદરા જઈ રહ્યાં હતાં. તેઓ નડિયાદ તાલુકાના ડભાણ ચોકડી નેશનલ હાઈવે નં ૮ બ્રીજ ઉપરથી પસાર થઈ રહ્યાં હતાં તે વખતે સામેથી રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે આવતાં એક મોટરસાઈકલ નં જીજે ૦૭ સીએફ ૧૯૨૦ના ચાલકે મેહુલભાઈની ગાડીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મેહુલભાઈની ગાડીને નુકસાન થયું હતું. જ્યારે બાઈક પર સવાર ત્રણેય ઈસમો ઈજાગ્રસ્ત બન્યાં હતાં. ગાડીના ચાલક મેહુલકુમારે માનવતા દાખવી તાત્કાલિક હાઈવે કંટ્રોલની એમ્બ્યુલન્સ ગાડી બોલાવી હતી. અને ઈજાગ્રસ્ત બનેલા ત્રણેય ઈસમોને સારવાર માટે નડિયાદ સિવિલમાં મોકલી આપ્યાં હતાં.