ઉમરેઠમાં 8થી વધુ ગામના ગરીબ લોકો બે મહિનાથી અનાજના જથ્થાથી વંચિત રહેતા હાડમારી વેઠવાની નોબત આવી
આણંદ: જિલ્લાના ઉમરેઠ તાલુકાના આઠ જેટલા ગામોના ગરીબ લાભાર્થીઓ છેલ્લા બે માસથી અનાજના જથ્થાથી વંચિત રહેતા ભારે હાડમારી વેઠવાનો વારો આવ્યો છે. ઓનલાઈનમાં કોઈ યાંત્રિક ખામી સર્જાતા ગરીબ લાભાર્થીઓ ઘઉં તથા ચોખાના જથ્થાથી વંચિત રહ્યા છે. સસ્તા ભાવે આપવામાં આવતુ આ અનાજ ગરીબ પરિવારોને ન મળતા તેઓની આર્થિક મુશ્કેલી વધવા પામી છે.
વધુમાં મળતી માહિતી મુજબ ઉમરેઠ તાલુકાના ભાલેજ, સૈયદપુરા, જાખલા, ઘોરા, બડાપુરા તથા ખાખણપુર સહિતના આઠ જેટલા ગામોમાં છેલ્લા બે માસથી સસ્તા અનાજની દુકાનોમાં ઓનલાઈન યાંત્રિક ખામી સર્જાવાના કારણે માત્ર તેલ અને ખાંડનું જ વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે ઘઉં તથા ચોખાનો જથ્થો ફાળવવામાં ન આવતા અનેક ગરીબ પરિવારો છેલ્લા બે માસથી સસ્તા અનાજના જથ્થાથી વંચિત રહેવા પામ્યા છે.