આણંદ તાલુકાની જોળ નહેર નજીક કારની હડફેટે રિક્ષામાં સવાર મહિલા મોતને ભેટી: અન્ય ત્રણને ઇજા
આણંદ: તાલુકાના જોળ નહેર પાસે આજે બપોરના સુમારે પુરપાટ ઝડપે જતી એક કારે સીએનજી રીક્ષાને ટક્કર મારતાં રીક્ષામાં સવાર એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ જ્યારે ત્રણને ઈજાઓ થતાં તેઓને તુરંત જ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે વિદ્યાનગર પોલીસે કારના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
અકસ્માતની મળતી વિગતો અનુસાર નડીઆદ ખાતે રહેતો રીક્ષાચાલક વસીમઅકરમ અહેતાબઆલમ શેખ આજે બપોરના સુમારે પોતાની રીક્ષામં મુસાફરો બેસાડીને બપોરના ત્રણેક વાગ્યાના સુમારે જોળ નહેર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી કાર નંબર જીજે-૧, આરએફ-૯૭૩૦એ ટક્કર મારતાં બન્ને વાહનોને નુકસાન થવા પામ્યું હતુ.
રીક્ષામાં સવાર બેબીબેનને માથામાં તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થતાં મોત થયું હતુ. જ્યારે અન્ય ત્રણ મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી.