સિંહના મૃતદેહ મળવાનો મામલો દુર્ભાગ્યપૂર્ણ :સત્તાવાળાઓ કારણો શોધે અને ગુનેગારો સામે કેસ ચલાવે :સાંસદ પરિમલભાઈ નથવાણી
એશિયાટિક સિંહો દુર્લભ અને મૂલ્યવાન છે. તેમનાં અકુદરતી મોતને કદાપિ સહન કરી શકાય નહીં.
ગીર જંગલની દલખાણિયા રેન્જમાં ત્રણ અને રાજુલામાં એક સિંહના મૃતદેહો મળવાના મામલાને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે હવે વખત આવી ગયો છે કે સત્તાવાળાઓ આ મોતનાં કારણો શોધે અને ગુનેગારો સામે કેસ ચલાવે.જો સિંહોને ઝેર આપીને કે વીજળીના ઝટકાથી મારી નાખવામાં આવ્યા હોય તો આવી ઘટનાઓની સંખ્યા અને પ્રમાણ ભયજનક સ્તરે પહોંચે તે પહેલાં તેને સખત હાથે અટકાવવી જોઇએ
. ભૂતકાળની જેમ જો શિકારીઓની ટોળકીનો આમાં હાથ હોય તો આવી ટોળકીઓને ખુલ્લી પાડી તેમની ઉપર સખત હાથે કામ ચલાવવું જોઇએ. ગીરના એશિયાટિક સિંહો દુર્લભ અને મૂલ્યવાન છે. તેમનાં અકુદરતી મોતને કદાપિ સહન કરી શકાય નહીં
તેમણે એમ પણ કહ્યું કે તમામ વન્યજીવ પ્રેમીઓએ ભેગા મળી કિમતી પ્રાણીઓનાં અકુદરતી મોતની વિરૂદ્ધ અવાજ ઊઠાવવો જોઇએ. તેમણે રાજ્યના વન પ્રધાન અને અધિકારીઓને આ ઘટનાઓની યુદ્ધના ધોરણે તપાસ કરી સખ્ત પગલાં લેવા માટે પત્રો લખ્યા છે.