સપ્ટેમ્બરમાં ગુજરાત યુનિ.નો યુવક ઉત્સવ
મહાત્મા ગાંધીને ખાસ પ્રાધાન્ય
અમદાવાદ,તા.૨૧ : ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રતિ વર્ષ યુવાનોમાં પડેલી શક્તિઓના સાક્ષાત્કાર માટે યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૯નો યુવક મહોત્સવ સપ્ટેમ્બર માસમાં આયોજીત કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીનો યુવક મહોત્સવ જુદી જુદી કોલેજોને ત્રણ ઝોનમાં વર્ગીકૃત કરીને યોજવામાં આવે છે. ઝોનલ કક્ષાએ વિજેતા યુવાનોને આંતર ઝોનલ (વિભાગીય) યુવક મહોત્સવમાં ભાગ લેવાની તક મળે છે. આંતરવિભાગીય વિજેતા ટીમો, સ્પર્ધકો ઈન્ટર યુનિવર્સિટીમાં ભાગ લેતા હોય છે. ગુજરાત યુનિવર્સિટી યુવક મહોત્સવની આયોજન સમિતિની બેઠક કુલપતિ ડૉ. હીમાશુ પંડ્યાના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત યુનિવસિટીના ઉપકુલપતિ ડૉ. જગદીશ ભાવસારે ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ યુવક મહોત્સવ ૨૦૧૯ને મહાત્મા ગાંધી-૧૫૦ સાથે સાંકળીને યુવાનોમાં ગાંધી વિચારનું પ્રસારણ થાય તે જોવાં અનુરોધ કર્યો હતો. યુવક મહોત્સવ આયોજન સમિતિની બેઠકમાં આચાર્યઓ ડૉ. ગીતાબેન મહેતા, ડૉ. જગદીશ ચૌધરી, સુરેશ ત્રિવેદી, ડૉ. એચડી શીખ સહિત યજમાન કોલેજના અધ્યક્ષઓ ઉપસ્થિત રહ્યા હતા. યુવક કલ્યાણ વિભાગના નાયબ નિયામક ચાવડા યુવક મહોત્સવ સુચારુરૂપે યોજાય તે માટે કાર્યરત થતા હોય છે અને યુવક મહોત્સવ એક યાદગાર સંભારણું બને તેવી હંમેશા મહેચ્છા સાખતા હોય છે. યુવક મહોત્સવના અવસરને કોલેજો ઉત્સાહ ભેર વધાવી યુવાનોમાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાં પ્રયત્નશીલ બને તે જરૂરી છે આજ યુવાન એ આવદતીકાલના ભારતનું ભવિષ્ય છે.