વડોદરાના સંવેદનશીલ પાણીગેટ વિસ્તારમાં નવું પોલીસ સ્ટેશન બનાવાશે: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહની જહેરાત
પોલીસ સ્ટેશન સહિત અન્ય પોલીસ સંલગ્ન કચેરીઓ અને આવાસોનું નિર્માણ કરાશે.
વડોદરાના સંવેદનશીલ પાણીગેટ વિસ્તારમાંનવું પોલીસ સ્ટેશન બનાવાશે આ વિસ્તારમાં પોલીસની સતત હાજરી રહી શકે તે માટે પોલીસ સ્ટેશન સહિત અન્ય પોલીસ સંલગ્ન કચેરીઓનું નિર્માણ કરવા નિર્ણય લેવાયો છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, વડોદરા શહેરનો પાણીગેટ વિસ્તાર કે જે કોમ્યુનલ દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાય છે.આ વિસ્તારમાં પોલીસની સતત હાજરી રહે તે આશયથી આ વિસ્તારમાં ૮.૧૮ કરોડના ખર્ચે પોલીસ સ્ટેશન સહિત અન્ય પોલીસ સંલગ્ન કચેરીઓ અને આવાસોનું નિર્માણ કરાશે.
ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં પાણીગેટ વિસ્તારમાં ઘણી વખત ખંજરબાજી હત્યા અને લૂંટફાટના બનાવો સતત બનતા હતા. આથી આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે અને નાગરિકોની સુરક્ષામાં વધારો થાય તે માટે વડોદરાના ધારાસભ્ય મનિષાબેન વકીલ દ્વારા રજૂઆત કરાતા તેને ધ્યાને લઇ રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.
રાજ્યમાં ભાઇચારાની ભાવના બળવત્તર બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બને તે રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે. ત્યારે આ નિર્ણય અત્યંત મહત્વપૂર્ણ પુરવાર થશે
મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, વડોદરા શહેરના આ સંવેદનશીલ પાણીગેટ વિસ્તારમાં ૪૧૧૫ ચો.મી. જમીન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઠરાવ કરીને રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવી છે. આ જમીન જંત્રીના ૮૦% ભાવ પ્રમાણે કોર્પોરેશનને રૂ. ૮,૧૮,૮૮,૫૦૦/- રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. આ જમીન ઉપર પાણીગેટ પોલીસ સ્ટેશન, ઇ-ડીવીઝન કચેરી, પોલીસ અધિકારી , કર્મચારીઓ માટે બી-કક્ષાના બાવન મકાનો અને સી-કક્ષાના આઠ મકાનોનું નિર્માણ કરાશે. જેના કારણે આ વિસ્તારમાં સતત પોલીસની હાજરી રહેશે. અને કાયદો - વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનશે