સુરતના કતારગામમાં હીરા દલાલ પાસેથી એક વર્ષ અગાઉ લીધેલ 62.88 લાખના હીરા અને પેમેન્ટ પરત ન કરતા છેતરપિંડીની ફરિયાદ દાખલ
સુરત:કતારગામ નંદુડોશીની વાડી ખાતે હીરાનું કારખાનું ધરાવતા યુવાન કારખાનેદારે લગભગ એક વર્ષ અગાઉ વેચવા આપેલા રૂ.62.88 લાખના હીરા મોટા વરાછાના હીરા દલાલે પરત કર્યા ન હતા અને તેનું પેમેન્ટ પણ કર્યું ન હતું. આ અંગે કારખાનેદારે હીરા દલાલ વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે અન્ય વેપારીઓ સાથે પણ આવી રીતે છેતરપિંડી કરનાર હીરાદલાલ વિરુદ્ધ મહિધરપુરા અને વરાછા પોલીસ મથકમાં પણ ગુના દાખલ થયા છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મુળ બોટાદના વતની અને સુરતમાં કતારગામ સીંગણપોર કોઝવે રોડ શ્રદ્ધાદિપ સોસાયટી મકાન નં.65 માં રહેતા 44 વર્ષીય કરશનભાઈ ડાયાભાઇ શેટા છેલ્લા ત્રણ વર્ષથી કતારગામ નંદુડોશીની વાડીમાં ગણેશ જેમ્સના નામે હીરાનું કારખાનું ધરાવે છે. કરશનભાઈ હીરા વેચવા માટે હીરા દલાલ તુષારભાઈ અમરશીભાઈ સવાણી (રહે. એફ/01, ફ્લેટ નં.104, સાઈ મિલન રેસીડેન્સી, સુદામા ચોક, મોટા વરાછા, સુરત)ને અવારનવાર હીરા આપતા હોય તેમણે ગત 17 જુલાઇ 2018 થી 23 જુલાઇ 2018 દરમિયાન કુલ રૂ.62,88,333ની કિંમતના જુદા જુદા કેરેટના પોલિશ્ડ હીરા તુષારભાઈને પોતાના કારખાને બોલાવી વેચવા માટે આપ્યા હતા.