ગુજરાત
News of Friday, 21st June 2019

લાખણીના કૂડા ગામે એક જ પરિવારના ૪ સભ્યોની હત્યા

ઘરના મોભી પિતાએ પણ ઝેર પી લેતા ચકચાર : હત્યાકાંડમાં કેટલાક સવાલો-રહસ્યો : દેવા અને વ્યાજની લેતીદેતીમાં પરિવારના સભ્યોની હત્યા થઇ હોવાની શંકા

અમદાવાદ,તા. ૨૧ : બનાસકાંઠાના લાખણીના કુડા ગામે એક જ પરિવારના ચાર સભ્યોની કરપીણ હત્યા કરવામાં આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગ હતી. બાદમાં ઘરના મોભી એવા પિતાએ ઝેર પી લીધુ હોવાનું સામે આવ્યુ હતું. જો કે, ઘરના સભ્યોની હત્યા વ્યાજે લીધેલા પૈસાને લઇ કરાઇ હોવાનું મનાઇ રહ્યું છે. સાથે સાથે પિતાએ જ પરિવારના ચાર સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની આંશકાએ હવે પોલીસે પણ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પિતાની હાલત ગંભીર હોઇ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. કુડાના આ હત્યાકાંડમાં રહસ્યના અનેક તાણાવાણા સર્જાયા હતા.  કારણ કે, એકબાજુ પિતા અભણ હોવાની વાત સામે આવી રહી છે તો પછી ઘરની દિવાલ પર રૂ.૨૧ લાખના દેવાનું લખાણ લખ્યું કોણે તેને લઇને પણ હવે ગંભીર સવાલો ઉઠયા છે. હત્યારાઓ પકડાય નહી ત્યાં સુધી ગ્રામજનોએ મૃતદેહો સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. કુડા ગામ ખાતે એક જ પરિવારના ચાર સભ્યોની માથાના ભાગે કુહાડીના ઘા મારી હત્યા નીપજાવવામાં આવી છે. જ્યારે ઘરના વડીલ એવા કરશનજી પટેલના હાથ પાછળની તરફ બાંધેલા હતા, તેમણે ઝેર પીધું હતું. જેમની હાલત ગંભીર છે અને સારવાર હેઠળ છે. આ મૃતકોમાં હરજીબેન કરશનજી પટેલ, ઉકભાઈ કરશનજી પટેલ, ભાવનાબેન કરશનજી પટેલ અને સુરેશભાઈ કરશનજી પટેલનો સમાવેશ થતો હતો. એક જ પરિવારના ચાર સભ્યોની હત્યાના બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસને ઘટનાની જાણ થતાં સ્ટાફના કાફલા સાથે તે ત્યાં દોડી આવી હતી. બીજીબાજુ, એવી ચર્ચાએ પણ જોર પકડયું હતું કે,  પિતાએ જ હત્યા કરીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. બીજીબાજુ, ગ્રામજનોનું કહેવું હતું કે, ઘરના વડીલ એવા કરશનજી પટેલના હાથ બંધાયેલા હતા અને જે દીવાલ પર રૂ.૨૧ લાખના ઉધારનું લખાણ લખવામાં આવ્યું છે તે ખોટું જ છે, કારણ કે કરશનજી અભણ હતા તો તેઓ કેવી રીતે લખી શકે. જે કુહાડીથી હત્યા કરવામાં આવી છે તે બાજુના ખેતરમાંથી મળી છે. આમ કરવા પાછળનું કારણ ગેરમાર્ગે દોરવાનું છે. હત્યારાઓએ પ્લાનીંગ સાથે મર્ડર કર્યું છે અને ૧૦થી ૧૨ શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. પ્રથમ દ્રષ્ટિએ જે કોઇપણ આ ઘટનાને જુએ તો તેમને એવો જ ભ્રમ ઉભો થાય કે પિતાએ પરિવારના સભ્યોની હત્યા કર્યા બાદ ઝેર પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ પીડિત કરશનજી પટેલને પણ કુહાડીના ઘા મારવામાં આવ્યા છે. જો કે, બીજો એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે, જો  આ પ્લાન મર્ડર હોય તો હત્યારાઓએ ઘરના મોભી એવા કરશનજી પટેલને કેમ છોડી દીધા? આવા અનેક સવાલો અને રહસ્યના તાણાવાણાં આ હત્યાકાંડ મામલે સર્જાયા છે, બીજીબાજુ, આ કેસમાં પણ પ્રાથમિક તારણ એવું પણ સામે આવી રહ્યું છે કે, કુડા ગામના આ પરિવાર પર રૂ.૨૧ લાખનું દેવું હતું અને પિતાએ જ ઘરના ચાર સભ્યોની હત્યા કર્યા બાદ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે.

 

(8:22 pm IST)