વડોદરાના ગોરવા વિસ્તારમાં 50 હજારની લાંચ લેવાના પ્રકરણમાં આરોપીના જામીન અદાલતે નામંજૂર કર્યા
વડોદરા:શહેરના ગોરવા બીઆઇડીસીમાં ફરિયાદી પાસેથી 50 હજારની માંગણીના સંદર્ભમાં એફ.આઇ.આર દાખલ થઇ ન હોવા છતાં અદાલતમાં આગોતરા જામીન અરજ રજૂ કરતા અદાલતે અરજદારની આગોતરા નામંજુર કરવાનો હુકમ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગોરવા પોલીસ અવારનવાર નિવેદન માટે સંપર્ક સાધી ચૂકી છે છતાં હાજર થતો નથી. આગોતરા જામીન અરજી નામંજૂર હેતુ તપાસ અધિકારીએ સોગંદનામું રજૂ કરતાં જણાવ્યું છે કે, મકરપુરાના રહેવાસી મનોજકુમાર પટેલએ 26મી ફેબ્રુઆરીના રોજ અરજી આપી હતી કે, ગોરવા બીઆઇડીસીમાં ભરતી પ્રક્રિયા દરમિયાન અરજદાર મનહરસિંહ રાણા ( રહે - કરચિયા, સાવલી) એ 50 હજારની માંગણી કરી હતી. અને ધમકી આપી હતી કે, આ રકમ હાલમાં આપવામાં નહીં આવે તો ભરતીની મંજુરી મળશે નહીં. ત્યાર બાદ હોબાળો થતા મનોજકુમારે પોલીસ બોલાવી હતી. આ દરમિયાન મનહરસિંહ ઘટના સ્થળેથી નાસી છુટયો હતો. ત્યારબાદ ગોરવા પોલીસે અવારનવાર નરસિંહને પોલીસ મથકે નિવેદન માટે સંપર્ક સાધ્યો હતો પરંતુ અરજદાર આજદિન સુધી હાજર થયો નથી. અદાલતે નોંધ્યું હતું કે, ગોરવા પોલીસે અરજદાર વિરુદ્ધ એફઆઇઆર નોંધી નથી. અને અરજદાર તપાસમાં સહકાર આપતા નથી. આગોતરા જામીન અરજી પરિપક્વ નથી.