અ'વાદ: મેઘાણીનગરમાં પત્નીને ઢોર માર મારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ
અમદાવાદ:તારે આ ઘરમાં રહેવું હોય તો અમે કહીએ તેમ કરવું પડશે કહીને પત્નીને ગડદાપાટુનો ઢોર માર મારનારા પતિ અને સાસુ સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સાસુની ધરપકડ કરી છે. જ્યારે મહિલા આયોગે આ બનાવ અંગે તપાસનો આદેશ આપ્યો છે. આ ઘટનાનો વિડીયો પણ વાઈરલ થયો છે.
મેઘાણીનગરમાં ભાર્ગવ રોડ પર સ્વામી દયાનંદ પાર્કમાં પુનમબહેન તુષારભાઈ ત્રિવેદી (૩૨) રહે છે. ૨૦૧૩ માં તેમના લગ્ન તુષારભાઈ સાથે થયા હતા. તેમને ગર્વ નામનો ૪ વર્ષનો પુત્ર છે. લગ્ન બાદ છેલ્લા ચાર વર્ષથી ઘરકામ બાબતે પતિ અને સાસુ મ્હેણાટોંણા મારીને શારિરીક માનસિક ત્રાસ આપતા હોવાનું પુનમબહેને ફરિયાદમાં જણાવ્યું છે. ૧૯ મેના રોજ સાસુ ચંદાબહેને તુ ઘરમાં કેમ સફાઈ રાખતી નથી અને ગેસ કેમ વાપરે છે કહીને ઝઘડો કર્યો હતો અને ગંદી ગાળો બોલવા લાગ્યા હતા. બાદમાં તે પુનમહેનને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.
દરમિયાન પતિ તુષાર પણ આવી ગયો હતો અને ઘરમાં રહેવું હોય તો અમે કહીએ તેમ કરવું પડશે નહી તો તને જીવવા નહી દઈએ એવી ધમકી આપી હતી. બાદમાં તેણે પુનમબહેનને ફેંટો અને લાતોનો માર મારીને નીચે પાડી દીધા હતા. એટલું જ નહી પુનમબહેનના વાળ પકડીને નીચે પાડી દઈને ઢસડવા લાગ્યા હતા. પત્નીને નીચે પાડી દીધા બાદ પતિએ ઊપર બેસીને ફેંટોનો માર માર્યો હતો.