સરકારે તળાવો ઉંડા કયો તે નિમિત્તે જિલ્લાવાર યજ્ઞ કરશે : યજ્ઞ સામગ્રી હાજર રાખવા કલેકટરોને પરિપત્ર
ધૂપ, ગુગળ, સાકર, વાટ, ચમચી, નાગરવેલના પાન, નાડાછેડી, છાણ, અબીલ-ગુલાલ, સુકો મેવો વગેરે તૈયાર રાખવા સરકારની સૂચના !
રાજકોટ, તા., ર૧: ગુજરાત સરકાર દ્વારા તળાવ અને ડેમના કાંપ કાઢી ઉંડા ઉતારવા માટે તા.૧ મે થી જળસંચય અભિયાન ઉપાડવામાં આવ્યું છે. તેની ૩૧મીમેએ પુર્ણાહુતી થનાર છે. સરકાર મુદત લંબાવે નહિ તો તે દિવસે અથવા મુદત લંબાવે તો છેલ્લા દિવસે દરેક સ્થળ પર પર્જન્ય યજ્ઞ કરવાનું નક્કી કર્યાનું અને તે માટે જરૂરી સામગ્ર હાજર રાખવા કલેકટરોને લેખીત સુચના અપાયાનું જાણવા મળે છે. ગુજરાતમાં ૩૦૦ જેટલા સ્થળોએ કાંપ કાઢવાની કામગીરી ચાલી રહી છે પરંતુ સરકારે જીલ્લા કક્ષાએ એક યજ્ઞ યોજવાનું નક્કી કર્યાનું જાણવા મળે છે. રાજયકક્ષાએ એક મોટો યજ્ઞ થશે.
યજ્ઞ માટે ધૂપ, ગુંગળ, સાકર, વાટ, ચમચી, નાગરવેલના પાન, નાડાછેડી, છાણ, અબીલ ગુલાલ, સુકો મેવો વિગેરે હાજર રાખવા વહીવટી તંત્રને લેખીત સુચના આપવામાં આવી છે. આ પ્રકારની સુચના સરકારના ઇતિહાસમં પ્રથમ વખત આવ્યાનું માનવામાં આવે છે. યજ્ઞમાં વિવિધ જ્ઞાતિના આગેવાનોને યજમાન તરીકે બેસાડવામાં આવશે. દરેક યજ્ઞ સ્થળે મોટી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રાખવાનું જણાવાયું છે. જેના સમક્ષ જળ અભિયાનના ગુણગાન ગાવામાં આવશે.