બુલેટ ટ્રેનનું આણંદ-ખેડા જિલ્લાનું સ્ટેશન ઉત્તરસંડામાં બંધાશે
અમદાવાદ અને વડોદરા સ્ટેશન જ હાલના કાર્યરત રેલ માર્ગ સમાંતર રખાશે
આણંદ :હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના સત્તાધીશોએ શહેરથી દૂર અને હાઇવે નજીક નવા બુલેટ ટ્રેન સ્ટેશન બનાવવાનું નકકી કર્યાનું જાણવા મળે છે. જેમાં વડોદરા, અમદાવાદના સ્ટેશન શહેર નજીકના રેલવે સ્ટેશનની નજીકમાં બુલેટ સ્ટેશન બનાવવામાં આવશે. જયારે અન્ય સ્ટેશન મુખ્ય શહેરથી દૂર પરંતુ હાઇવેથી નજીક બનશે. જેમાં નડિયાદ અને આણંદ વચ્ચે આવેલા ઉત્તરસંડા ગામે બુલેટ ટ્રેનનું સ્ટેશન બંધાશે
અમદાવાદ અને વડોદરા સ્ટેશન જ હાલના કાર્યરત રેલ માર્ગ સમાંતર બંધાશે જયારે બાકીના છ સ્ટેશન રાજય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગને સમાંતર બંધાશે. ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા સિવાય બુલેટ ટ્રેનના રોકાણ માટે છ સ્ટેશન પસંદ કરાયા છે. તેના ટર્મીનલ્સ એવા સ્થળે બાંધવામાં આવશે કે જેથી આણંદ, નડિયાદ, ભરૂચ, અંકલેશ્વર, બીલીમોરા, નવસારી, વલસાડ અને વાપીના પ્રવાસીઓ તેનો લાભ લઇ શકે. આ રેલપથ આઠ જિલ્લાઓમાંથી પસાર થશે. જેના માટે હાઇસ્પીડ રેલ કોર્પો. લિ. દ્વારા કુલ ૮૭પ હેકટર જમીન સંપાદન કરવી પડશે.