ગુજરાત
News of Wednesday, 21st April 2021

રાજ્ય સરકાર કહે છે કોરોના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેકશનો સહેલાઇથી મળી જશે જ્યારે અમદાવાદ કમિશનર કહે છે કે નહીં મળે...

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની સ્થિતી બેકાબુ બની ચુકી છે. હાલમાં ન તો ક્યાંય સારવાર માટે બેડ મળી રહ્યા છે, ન તો ટેસ્ટ થઇ રહ્યા છે, સારવાર માટે રેમડેસિવિર જેવા ઇન્જેક્શનો નથી મળી રહ્યા, ન તો સ્મશાનમાં જગ્યા છે. તેવામાં સરકાર કંઇક અલગ કહી રહી છે. સરકારનાં કંઇક અધિકારીઓ કંઇક અલગ કહી રહ્યા છે. તો સત્તા પક્ષનું સંગઠન કંઇક નવું જ કરી રહ્યું છે. તેવામાં નાગરિકોની સ્થિતિ ખુબ જ વિપરિત બની છે. સરકાર દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે, હોમ કેરમાં રહેલા દર્દીઓને પણ જરૂર પડ્યે રેમડેસીવીર ઇન્જેક્શન મળી રહેશે.

જો કે હવે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે આહ્ના સાથે થયેલી મીટિંગમાં સ્પષ્ટતા પુર્વક જણાવ્યું કે, 15 એપ્રીલે થયેલા પરિપત્રની બજવણી અમે કરી શકીએ તેમ નથી. મુકેશ કુમારે જણાવ્યું કે, આ પરિપત્ર તો કર્યો હતો પરંતુ હવે તે શક્ય નથી. જો કે આ અંગે ડોક્ટર્સે વિરોધ કરતા તેમણે કહ્યું કે, દરેક વસ્તુ પરિપત્ર દ્વારા કરી શકાય તેમ નથી. કેટલીક વાતો મૌખીક રીતે કહેવામાં આવે તે સ્વિકારી લેવી પડશે તમારે. આ અંગે આહ્નાના હોદ્દેદારોએ રજુઆત કરતા કમિશ્નરે તુમાખીથી જવાબ આપ્યો હતો. અત્રે નોંધનીય છે કે, સંગઠનનાં ડોક્ટર્સ એકત્ર થયા ત્યાં કમિશ્નરને આવવું યોગ્ય લાગ્યું નહોતું. તેમણે વ્હોટ્સએપ કોલનાં માધ્યમથી જ ચર્ચા કરી હતી.

મુકેશ કુમારના જણાવ્યા અનુસાર જો ઇન્જેક્શનની જરૂર હશે તો દર્દીએ ફરજીયાત દાખલ થવું પડશે. તો જ તેમને આ ઇન્જેક્શન મળી શકશે. અત્રે નોંધનીય છે કે, મુકેશ કુમારની નિમણુંક અમદાવાદમાં કોરોના કાબુ કરવા માટે થઇ હતી. પરંતુ સદ્ભાગ્યે પ્રથમ વેવના અંત સમયે તેઓની નિમણુંક થઇ જેથી તેઓએ કોરોના કાબુમાં લઇ લીધાનું ચિત્ર ઉભું થયું. પરંતુ બીજા વેવમાં તંત્ર અને મુકેશ કુમાર સદ્દંતર નિષ્ફળ સાબિત થયા. નાગરિકો જંગલ જેવી સ્થિતી સહેવા માટે મજબુર બન્યા છે. જ્યાં સવારે જે નિર્ણય લેવામાં આવે સાંજે તે જ નિર્ણયને બદલી દેવામાં આવે છે. કેટલાક કિસ્સામાં સરકાર કંઇક કરે અને અધિકારીઓ કંઇક અલગ જ કરે છે.

(4:45 pm IST)