ગુજરાત રાષ્ટ્રભાવનાને વરેલુ રાજ્ય રહ્યું છે : રિપોર્ટમાં દાવો
આઝાદીની લડાઈમાં પણ રાષ્ટ્રભાવના દેખાઈ હતી : ગુજરાતનું ખમીર હમેશા દેશને એક દિશા આપનાર રહ્યું
અમદાવાદ,તા.૨૦ : ગુજરાત રાજ્યની રાષ્ટ્રના પરિપ્રેક્ષ્યમાં ભૂમિકા વિશિષ્ટ પ્રકારની રહી છે. ગુજરાતે ક્યારેય સંકૂચિતતામાં પોતાને જોતર્યુ નથી. વ્યાપક્તોએ ગુજરાતનો સ્વભાવ રહ્યો છે. ધર્મ અને રાષ્ટ્રભાવના ગુજરાતની એક વિશેષતા રહી છે. જાતિવાદ, પ્રાંતવાદ જેવાં શબ્દોને પડકારી સમયે સમયે ગુજરાતે રાષ્ટ્રવાદનો નારો ઝીલ્યો છે. ગુજરાતે આઝાદીની લડતના લડવૈયા મહાત્મા ગાંધી, એકતા અને અખંડિતતાના પ્રહરી સરદાર વલ્લભભાઈ પટેલ, બિન-કોંગ્રેસી વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈ, કાર્યકારી વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા જેવાની ભેટ રાષ્ટ્રને આપી છે. ગુજરાતમાં ૨૩ એપ્રિલના રોજ ૨૬ લોકસભા બેઠકની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીના પ્રચાર-પડધમ આજે સાંજે ૫.૦૦ કલાકે શાંત થઈ જશે. ગુજરાત સ્થપાયુ ૧૯૬૦માં ત્યાર પછી યોજાયેલી તમામ ચૂંટણીઓના રેકોર્ડને તોડનારું પરિણામ ૨૦૧૪માં ગુજરાતે આપ્યું હતું અને ભાજપાને તમામ ૨૬ બેઠકો જીતાડી હતી. ૨૦૧૪ની ચૂંટણીમાં રાજકીય અંક-ગણિત માંડનારા ભાજપાને ૧૪ બેઠકો મળશે અને કોંગ્રેસને ૧૨ બેઠકો મળશે તેવું કહેતા અને લખતા હતો. જોકે આ ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે ભાજપાના ૨૬ ઉમેદવારો લાખ્ખો મતોની સરસાઈથી જીત્યા હતા. ૨૦૧૪માં ભાજપાના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી વડોદરા લોકસભા બેઠકથી ચૂંટણી લડ્યા હતા. ૨૦૧૯માં ભાજપાના સફળ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.