ગુજરાત
News of Saturday, 21st April 2018

સોજીત્રામાં અગમ્ય કારણોસર પુળીયાની ધોઇમાં આગ ભભુકતા અફડાતફડી

સોજીત્રા:માં ટેલિફોન ઓફિસ પાછળ આવેલા એક તબેલાના પૂળિયાની ધોઇમાં અચાનક આગ ભભૂકી હતી. પવનના કારણે આગે વરવું સ્વરૂપ ધારણ કરતી પૂળિયા ભસ્મીભૂત થયા હતા. જો કે આગ બૂઝાવવામાં સોજીત્રા ઉપરાંત આણંદ અને પેટલાદના ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી.

 

આણંદ જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે. બળબળતા તાપના કારણે માનવી સહિત પશુ, પંખી પણ ત્રસ્ત બની રહ્યા છે. સતત તાપના કારણે હાલમાં જ ડાંગરમાંથી નીકળતા પૂળિયાની ધોઇ બનાવવામાં આવે છે. સોજીત્રામાં ટેલિફોન ઓફિસની પાછળના ભાગમા ઇમ્તીયાઝભાઇ વ્હોરાના તબેલામાં પૂળિયાની બનાવેલ ધોઇમાં સવારે ૧૦.૩૦ કલાકના સુમારે એકાએક આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી જવા પામી હતી. પૂળાની ઘોઈમાં ઘુમાડાના ગોટા નીકળતા આગ લાગી હોવાની ચર્ચા સમગ્ર નગરમાં વાયુવેગે ફેલાઈ જતા નગરજનોના ટોળે-ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આ બાબતની જાણ પશુપાલક યુસુફભાઈ વ્હોરાને કરતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પવનના કારણે આગે વરવું સ્વરૂપ પકડતા જોતજોતામાં આગે લબકારા મારતી અગનજવાળાઓનું સ્વરૂપ ધારણ કર્યુ હતું.
આગને ઓલવવા સોજીત્રા બે, પેટલાદના બે અને આણંદ બે મળીને કુલ છ ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી. ફાયર ફાઇટરો દ્વારા પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો. સતત ત્રણ કલાકની જ્હેમત બાદ આગની જ્વાળાઓમાં માંડ શાંંત થવા પામી હતી. જો કે આગ કયા કારણોસર લાગી તે અંગે ફાયરબ્રિગેડ કે સોજીત્રા પોલીસ મથક દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. આગની ઘટનામાં કીંમતી પૂળા બળી જતાં પશુપાલક યુસુફભાઈ વ્હોરાએ દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી.આ અંગે સોજીત્રા પોલીસે જાણવા જોગ નોંધ કરીને તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

(6:08 pm IST)