સંતાનો સાથે પિયર ગયેલ પત્ની ઘરે પરત ન ફરતા પતિએ ચપ્પુના ઘા ઝીક્યાં
વડોદરા: માંજલપુરમાં રહેતા યુવકની પત્ની તેના બે સંતાનો સાથે પિયરમાં ગયા બાદ પાછી નહી આવતા આ મુદ્દે ઉશ્કેરાયેલા યુવકે તેની સાસુ સાથે ઝઘડો કરી તેની પર છરાથી હુમલો કર્યો હતો. શહેરના વડસર બ્રીજ પાસે પુષ્પક સોસાયટીમાં રહેતા કાંતીબેન દેવનારાયણ દૂબે પરિવાર સાથે રહે છે. તેમની મોટી પુત્રી રાજકુમારીનું લગ્ન માંજલપુરના તુળજાનગરમાં રહેતા રાજકુમાર રામભજન મિશ્રા સાથે થયું છે અને તેઓને સંતાનમાં બે પુત્રો છે. બે મહિના અગાઉ રાજકુમારીને પતિ સાથે ઝઘડો થતા તે બંને પુત્રો સાથે પતિનું ઘર છોડીને પિયરમાં રહે છે. દરમિયાન ગત સવારે કાંતીબેને પુત્રી અને પૈાત્રો સાથે ઘરે હતા તે સમયે તેમનો જમાઈ રાજકુમાર ઘરે ધસી આવ્યો હતો અને તેણે 'મારી પત્ની અને બંને છોકરાઓને તમે કેમ મોકલતા નથી..તેઓને મારા ઘરે મોકલી આપો' તેમ કહીને ઝઘડો કર્યો હતો અને પેન્ટમાં કમરના ભાગે છુપાવેલો નારિયેળ કાપવાનો છરો કાઢી તેણે કાંતિબેનના માથા પર વાર કર્યો હતો. જોકે તેમણે તુરંત માથા પર હાથ મુકતા તેમના હાથમાં ઈજા થઈ હતી અને તે લોહીલુહાણ થયા હતા. આ ઝઘડામાં દરમિયાનગીરી કરતાં રાજકુમારે તેની સાળી કોમલને પણ ઈજા પહોંચાડી હતી અને મારી પત્ની અને બાળકોને પાછા નહી મોકલો તો તેમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવની કાંતિબેનના પુત્રએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હુમલાખોર જમાઈની ધરપકડ કરી હતી.