છત્તીસગઢમાં 'સદાકાળ 'ગુજરાત કાર્યક્રમનો આજે પ્રારંભ કરાવશે મુખ્યમંત્રી વિજયભાઈ
રાજ્યની સંસ્કૃતિ-અસ્મિતાની પ્રસ્તૃતિ-વિકાસ ગાથાની ઝાંખી કરાવતું ૪૩ સ્ટોલ્સ સાથેનું પ્રદર્શન યોજાશે
અમદાવાદ: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે તા. 21ને શનિવારે સાંજે છત્તીસગઢના રાયપૂરમાં ‘સદાકાળ’ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. છત્તીસગઢના મુખ્યમંત્રી ડૉ. રમણસિંહની વિશેષ ઉપસ્થિતિમાં રાયપૂરના પંડિત દીનદયાળ ઓડીટોરિયમમાં યોજાનારા સદાકાળ ગુજરાત કર્યક્રમમાં રાજ્યની સંસ્કૃતિ-અસ્મિતાની પ્રસ્તૃતિ તેમજ વિકાસ ગાથાની ઝાંખી કરાવતું ૪૩ સ્ટોલ્સ સાથેનું પ્રદર્શન પણ યોજાશે. બિન નિવાસી ગુજરાતી પ્રભાગ મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી બિન નિવાસી ગુજરાતીઓની આગવી ઓળખ પ્રસ્થાપિત કરતા ગુજરાત કાર્ડનું છત્તીસગઢમાં વસતા ગુજરાતીઓને વિતરણ કરશે તેમજ રાજ્યના પ્રવાસન વૈવિધ્યની તલસ્પર્શી માહિતી પૂરી પાડતા પ્રવાસન માહિતી કેન્દ્રને પણ ખૂલ્લું મૂકશે.
વિવિધ રાજ્યોમાં વસતા બિન-નિવાસી ગુજરાતીઓ સાથેના જીવંત સંપર્ક જાળવીને જે તે રાજ્યમાં રહેતા ગુજરાતીઓને વતન જેવો જ અહેસાસ કરાવવા અને ગુજરાતમાં થયેલ વિકાસ અને વર્તમાન ગુજરાતની ઝાંખી કરાવી રોકાણની તકોથી વાકેફ કરવા ગુજરાત સરકારના બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ અને ગુજરાત રાજ્ય બિન-નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન દ્વારા અન્ય રાજ્યોના મુખ્ય શહેરોમાં ‘સદાકાળ ગુજરાત’ કાર્યક્રમ યોજવામાં આવે છે.
‘‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’’ના ભાવ સાથે અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓનું માતૃભૂમિ સાથે તાદાત્મ્ય સાધવા ‘સદાકાળ’ ગુજરાતના આવા કાર્યક્રમો મુંબઇ, જયપૂર, કોઇમ્બતૂર, વારાણસી અને કલકત્તામાં અગાઉ સફળતાપૂર્વક યોજાયા છે. છત્તીસગઢમાં આ વર્ષે ર૧ અને રર એપ્રિલ દરમિયાન એન.આર.જી. એસોસિએશનના સહયોગથી ‘સદાકાળ ગુજરાત’ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે