આણંદ નજીક બોરીયાવીમાં ભેદી સંજોગોમાં ઓવરબ્રિજ નીચેથી અજાણ્યા શખ્સની લાશ મળી આવી
આણંદ: નજીક આવેલા બોરીયાવી ગામના રેલવે ઓવરબ્રીજ નીચેથી ગઈકાલે રાત્રીના સુમારે એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. આ અંગે આણંદ રૂરલ પોલીસે વર્ણનના આધારે તેના વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે બોરીયાવી રેલવે ઓવરબ્રીજ નીચે પડી રહેલા એક અજાણ્યા ૩૫ થી ૪૦ વર્ષના યુવાનને ૧૦૮ એમ્બ્યુલન્સ વાન દ્વારા સારવાર માટે આણંદ નગરપાલિકા હોસ્પિટલમાં લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ તેનું અવસાન થયું હતુ. અજાણ્યા યુવાને ગુજરાતીમાં જમણા હાથે પેઈન્ટર હંસરાજ તેમજ અંગ્રેજીમાં આર. એસ. લખાવ્યું છે. સફેદ-લીલા-વાદળી પટ્ટાવાળું આખી બાયનું શર્ટ તેમજ કાળા કલરનું પેન્ટ પહેર્યું છે. પ્રાથમિક તપાસમાં કોઈ અગમ્ય બીમારીના કારણે તેનું મોત થયાનું ખુલવા પામ્યું છે.